મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે બાળકોનું આરોગ્ય અને સુખાકારી અંતર્ગત જીલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 900 જેટલા હેલ્થ એમ્બેસેડર શિક્ષકોન તાલીમ આપવામાં આવી હતી. શાળાના બાળકોનું આરોગ્ય અને સુખાકારી સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. આરોગ્ય બાળકોના શિક્ષણ અને વિકાસને અસર કરે છે. “આયુષ્માન ભારત” ના ભાગરૂપે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની આગેવાની હેઠળ શાળાએ જતા બાળકોને તેમના આરોગ્ય અને સુખાકારી સબંધિત વ્યાપક જાણકારી, માનસિક સહયોગ અને આરોગ્ય શિક્ષણ મળી રહે તે માટે 900 જેટલા શિક્ષકોને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે તાલીમ આપવામાં આવી હતી. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન અનુસાર ધોરણ 1 થી 12 નાં તમામ બાળકોના સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સર્વાંગી વિકાસ માટે શિક્ષણ શાખાના તાલીમબદ્ધ શિક્ષકોનાં સહયોગથી જીલ્લાના 710 પ્રાથમિક શાળાનાં શિક્ષકો અને 190 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકોને તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ, ભાવનાત્મક સુખાકારી અને માનસિક આરોગ્ય, આંતરવૈયકતીક સંબધો, મુલ્યો અને નાગરિકતા, જેન્ડર સમાનતા, પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા, નશીલા પદાર્થોના દુરુપયોગની રોકથામ અને વ્યવસ્થાપન, આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રસાર, પ્રજનન સ્વાસ્થ્ય અને એચ.આઈ.વી.ની રોકથામ, હિંસા અને ઈજાઓ સામે સલામતી અને સુરક્ષા અને ઈંટરનેટ અને સોશિયલ મીડીયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું જેવા 11 મોડ્યુલની ત્રિદિવસીય તાલીમ આપવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ