લિસ્બન (પોર્ટુગલ), નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી (હિ.સ.) સ્વૈચ્છિક સંસ્થા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (એકેડીએન) ના સ્થાપક આગા ખાન (ચતુર્થ) નું અવસાન થયું. માત્ર 20 વર્ષની ઉંમરે વિશ્વભરના લાખો શિયા ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા બનેલા ખાન દ્વારા મંગળવારે 88 વર્ષની ઉંમરે અહીં અંતિમ શ્વાસ લેવામાં આવ્યા. આગા ખાન ફાઉન્ડેશને કહ્યું કે, તેમના ઉત્તરાધિકારીની જાહેરાત પછીથી કરવામાં આવશે. તેમણે પોતાના વસિયતનામામાં પોતાના ઉત્તરાધિકારીનું નામ લખ્યું છે.
એકેડીએન વેબસાઇટ અનુસાર, આગા ખાન ફાઉન્ડેશન અને ઇસ્માઇલી ધાર્મિક સમુદાયે જાહેરાત કરી કે, શિયા ઇસ્માઇલી મુસ્લિમોના 49મા વારસાગત ઇમામ, હિઝ હાઇનેસ પ્રિન્સ કરીબ અલ-હુસેની (આગા ખાન ચોથા)નું મંગળવારે પોર્ટુગલમાં અવસાન થયું. ઇસ્માઇલી મુસ્લિમોને આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડવા ઉપરાંત, તેમણે વિકાસશીલ દેશોમાં ઘરો, હોસ્પિટલો અને શાળાઓ બનાવવા માટે અબજો ડોલરનું દાન પણ આપ્યું છે. આગા ખાને તેમના પરિવારની વચ્ચે અંતિમ શ્વાસ લીધા. તેમનું વસિયતનામું લિસ્બનમાં તેમના પરિવાર અને ધાર્મિક નેતાઓની હાજરીમાં વાંચવામાં આવશે. ઉત્તરાધિકારીની પસંદગી ફક્ત તેના પુરુષ વંશજો અથવા સંબંધીઓમાંથી જ કરવામાં આવે છે.
આગા ખાન પરિવાર, ઇસ્લામના પયગંબર મુહમ્મદના સીધા વંશજ હોવાનું માનવામાં આવે છે. 1957માં તેમના દાદાએ, તેમના પુત્ર અલી ખાનને અવગણીને, પ્રિન્સ કરીમ આગા ખાનને અણધારી રીતે ઉત્તરાધિકારી તરીકે નામ આપ્યું. તેમની નિમણૂક સમયે તેઓ હાર્વર્ડ ગ્રેજ્યુએટ હતા.
આગા ખાન ચોથાએ પોતાનું આખું જીવન જાહેર કલ્યાણ માટે સમર્પિત કર્યું. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક આજે 96 હજાર લોકોને રોજગારી આપે છે. તેઓ આરોગ્યસંભાળ, શિક્ષણ, રહેઠાણ અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને તજિકિસ્તાન સહિત ઘણા દેશોના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ