108 ઇમરજન્સી સેવા: રાજ્યમાં માર્ચ 2025 સુધીમાં, 1.75 કરોડથી વધુ કોલ નોંધાયા
ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘108 ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં ર
108 દર્દીઓ માટે દેવદૂત બની


ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘108 ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી ‘108 ઇમરજન્સી સેવા’ આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે '108ઇમરજન્સી સેવા’ 24x7 વિનામૂલ્યે સેવા આપી રહી છે, જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશિર્વાદરૂપ બની છે.

રાજ્યમાં આરોગ્ય સેવા ક્ષેત્રે ‘108 ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી માર્ચ– 2025 સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ 1.75 કરોડથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરીને દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત 108 દ્વારા 57.62 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી તેમજ 21.36 લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન-મરણનો સવાલ હોય તેવી આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 16.69 લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સમાં 93450 જેટલી સગર્ભા મહિલાઓને તેમજ જે તે સ્થળ ઉપર 56715 એમ કુલ 1.50 લાખથી વધુ સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

રાજ્યમાં ‘108 ઇમરજન્સી સેવા’ ઉપરાંત અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત સપ્ટેમ્બર 2012થી કાર્યરત 434 જેટલી ખિલખિલાટ વાનનો વર્ષ ૨૦૨૪ સુધીમાં 1.23 કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. તેવી જ રીતે વર્ષ 2015થી શરૂ થયેલી 181 મહિલા હેલ્પલાઇન અંતર્ગત 15.84 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને ૫૯ વાન દ્વારા 3.17 લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં વર્ષ 2017માં શરૂ કરાયેલી 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા વર્ષ 2024 સુધીમાં કુલ 51.26 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત વર્ષ 2018માં શરૂ કરાયેલી 108 બોટ એમ્બ્યુલન્સ દ્વારા 753 જેટલા નાગરિકોનો આપાતકાલીન સેવાઓ આપવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં બે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.

રાજ્યના 7 જિલ્લાઓમાં વર્ષ 2019થી કાર્યરત 112 ઇમરજન્સી સેવા અંતર્ગત 1.48 કરોડથી વધુ ઇમરજન્સી કોલ જેમાં પોલીસ, ફાયર, મેડીકલ અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. વર્ષ 2020માં 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું અને વર્ષ 2023માં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફરતું પશુ દવાખાનાની કુલ 586 વાન સેવારત છે, જેમાં 79 લાખથી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે, તેમ ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસની અખબારી યાદીમાં જણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande