અંબાજી,19 એપ્રીલ (હિ. સ). સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર શાકમાર્કેટ વિસ્તારમાં સફાઈ સેવા ઝુંબેશનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખ,કમિટીના સભ્યો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શાક માર્કેટ વિસ્તારમાં ફેરિયાઓ અને વેપારીઓને પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા બાબતે સંવાદ કરાયો હતો,પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા નાગરિકોને જિલ્લા કલેકટરએ અપીલ કરી હતી કે, સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી બને છે.
સફાઈકર્મીઓ તો રોજ સ્વચ્છતા માટે કામ કરી જ રહ્યા છે પણ 100 સફાઈકર્મીઓ સામે શહેરના 1.50 લાખ નાગરિકોએ પણ સ્વચ્છતા જાળવવા માટે કામ કરવું જોઈએ. તેમણે સહિયારા સાથ થકી ઝીરો પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા નાગરિકોને આહવાન કરીને શાકમાર્કેટ ખાતે શાકભાજી લેવા આવતા લોકોને પ્લાસ્ટિકની થેલી નહીં પરંતુ ઘરેથી કાપડની થેલી લઈને આવે તે માટે સૂચન કર્યું હતું. જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે, પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે છેલ્લા એક મહિનાથી પાલનપુર નગરપાલિકા દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકો પોતાના ઘર અને મહોલ્લા સહિતની જગ્યાઓ પર તથા વેપારીઓ પણ પોતાની દુકાનની આજુબાજુ સ્વચ્છતા જાળવે તે જરૂરી બને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ