વલસાડ, 31 મે (હિ.સ.)-કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના મુજબ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં પણ 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત તા. 31 મે નાં રોજ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ સાંજે 5 કલાકે વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની સિવિલ ડિફેન્સ મોકડ્રીલ (દ્વિતિય)નું આયોજન કરાયુ હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે તા. 31 મે નાં રોજ સાંજે 5 કલાકે તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની મોકડ્રીલનું આયોજન કરાયુ હતું. જેમાં હવાઈ હુમલો થયા બાદ મંદિરે દર્શન માટે આવેલા ૫ ઇજાગ્રસ્તોને યુધ્ધના ધોરણે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સના ૩૫ સ્વયંસેવકોએ ગણતરીની મીનિટમાં આવી પહોંચી હવાઈ હુમલામાં ફસાયેલા 20 લોકોને બસ મારફતે સલામત સ્થળે સર્કિટ હાઉસમાં ખસેડવાની કામગીરી બખૂબી પાર પાડી હતી. ફાયર ફાયટરની ટીમ પણ સમય પર આવી પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. બુલેટપ્રુફ જેકેટમાં સજજ હથિયારધારી પોલીસના જવાનો અને કમાન્ડોની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી મંદિરને ચારે બાજુથી કોર્ડન કરી પર્યટકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી બજાવી હતી. વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માએ સ્થળ પર આવી મોકડ્રીલની સમીક્ષા કરી હતી. વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ અને જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયાએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. વલસાડ ડીવાયએસપી એ.કે.વર્મા, વલસાડ સિટી પીઆઈ ડી.ડી.પરમાર અને રૂરલ પીઆઈ બી.ડી.જીત્યાએ મંદિર પરિસરમાં સુરક્ષા તૈનાત કરી હતી.
વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું કે, નાગરિકોની સુરક્ષા માટે વહીવટી તંત્રની તૈયારી તથા કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય ત્યારે શું કરવું તેની જાગૃતિ માટે હાથ ધરાયેલી આ મોકડ્રીલના અભ્યાસ હેઠળ કોઈ પણ બનાવ બને ત્યારે બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી, ફસાયેલાં વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ મોકડ્રીલ દરમિયાન દરેક સંબંધિત સરકારી વિભાગે પોતાની ફરજ સમય મર્યાદામાં બજાવતા આ મોકડ્રીલ સફળ રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે