જાગ્રેબ, નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બુધવારે જાગ્રેબના ઐતિહાસિક બાંસ્કી દ્વોરી પેલેસ ખાતે ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રજ પ્લેન્કોવિચ સાથે મુલાકાત કરી. આ ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ સત્તાવાર મુલાકાત છે, જેણે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને એક નવું પરિમાણ આપ્યું છે.
પ્રધાનમંત્રી મોદીના ક્રોએશિયા આગમન પર, પ્રધાનમંત્રી પ્લેન્કોવિચ પોતે એરપોર્ટ પર ગયા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પછી, એક ભવ્ય ઔપચારિક સ્વાગત સમારોહમાં પ્રધાનમંત્રી મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
બેઠક દરમિયાન, બંને નેતાઓએ વેપાર, રોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ, સંસ્કૃતિ અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. માળખાગત સુવિધાઓ, બંદરો, ડિજિટલાઇઝેશન, કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ), ફાર્મા, નવીનીકરણીય ઉર્જા અને પર્યટન જેવા ક્ષેત્રોમાં ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક કરાર થયો.
પ્રધાનમંત્રી મોદીએ ભારતની કુશળ માનવ સંસાધન ક્ષમતાનો ઉલ્લેખ કરતા, ગતિશીલતા અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં સંસ્થાકીય સહયોગ સૂચવ્યો. બંને દેશોએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (આઈએમઈઈસી) હેઠળ કનેક્ટિવિટી વધારવા માટે પણ સંમતિ દર્શાવી.
વાતચીત દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા, આબોહવા પરિવર્તન અને આતંકવાદ જેવા વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું. ભારતે આતંકવાદ સામેના સહયોગ બદલ ક્રોએશિયાનો આભાર માન્યો.
આ ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન, કૃષિ ક્ષેત્રમાં સહયોગ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંશોધન સહયોગ, સંસ્કૃતિ ક્ષેત્રમાં ભાગીદારી અને ક્રોએશિયામાં હિન્દી ચેરના નવીકરણ અંગે ચાર મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
તે જ સમયે પ્રધાનમંત્રી મોદીએ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ક્રોએશિયામાં યોગ પ્રેમીઓને શુભેચ્છા પાઠવી અને બંને દેશોની સભ્યતા ભાગીદારીની પ્રશંસા કરી.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ક્રોએશિયા વચ્ચે રાજદ્વારી સંબંધો 1992 માં સ્થાપિત થયા હતા. આ ઐતિહાસિક મુલાકાતે બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોમાં નવી ઉર્જા અને વિશ્વાસનો સંચાર કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ