પાટણ, 22 જૂન (હિ.સ.)પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પૂર્વે રવિવારે ભવ્ય જળયાત્રા યોજાઈ હતી. ગણેશ આશ્રમથી ઢોલ-નગારા સાથે યાત્રાનું પ્રારંભ થયું હતું. વિદ્વાન બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે તીર્થો અને નદીઓનું આહ્વાન કર્યું હતું. યાત્રામાં પાલખીમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, ભ્રાતા બલરામજી અને બહેન સુભદ્રાજી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા.
અભિમંત્રિત જળમાં ઘી, દૂધ, દહીં, સાકર, ગુલાબજળ, કેવડાજળ, યમુનાજળ, કેસર અને ચંદનના મિશ્રણથી ભક્તોએ ભગવાનને જળસ્નાન આપ્યો હતો. યાત્રા જુનાગંજ બજાર, હિંગળાચાચર ચોક, મુખ્ય બજાર અને ઘીવટા નાકા થઈને નિજમંદિર સુધી પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત રીતિએ જળાભિષેક કરવામાં આવ્યો હતો.
જગદીશ મંદિર ખાતે પરંપરાગત નેત્રોત્સવ ઉજવાયો હતો. માન્યતા મુજબ ભગવાનની તબિયત નાદુરસ્ત થતાં ભક્તોએ તેમની આંખોની ચિકિત્સા કરી હતી. મધ, ઘી, તુલસી, પાન, ગુલાબજળ અને કેવડાજળથી બનેલ શીતળ જળનો છંટકાવ કરીને ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર