પાટણ, 22 જૂન (હિ.સ.) : શંખેશ્વરના ફેબ્રિકેશન વ્યવસાયી ધર્મેશ પંચાલ, તેમની પત્ની ઉર્મિલા અને પુત્ર પ્રકાશે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ કડી અને બલાસર વિસ્તારમાંથી ત્રણેયની લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી કાર અને મોબાઈલ કબજે કર્યા હતા, જેમાંથી અનેક ઓડિયો રેકોર્ડિંગ મળ્યાં છે જેમાં ધમકીઓ અને ઉઘરાણીઓના પુરાવા મળી આવ્યા છે.
ધર્મેશે છોડી ગયેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે કેટલાક વ્યાજખોરોએ તેમનું જીવન બરબાદ કરી દીધું છે. તેઓ એવી સ્થિતિમાં આવી ગયા કે બહાર નીકળવાનો કોઈ રસ્તો રહ્યો નહીં. નોટમાં ઉલ્લેખ છે કે આ લોકોના સામૂહિક ત્રાસને કારણે તેમને આ પગલું ભરવું પડ્યું. તેમણે સરકારને વિનંતી કરી હતી કે તેમના પરિવારને ન્યાય અપાવવામાં આવે.
પોલીસે ધર્મેશના મોબાઇલ અને ડાયરીમાંથી મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ધર્મેશે હેમુજી ઠાકોરને ₹1,84,000, મેરાભાઈ ભરવાડને ₹4,80,000, અંકિત દલાલને ₹7,96,100, અને અન્ય વ્યાજખોરોને પણ મોટી રકમ આપી હતી. તેના દ્વારા ઑનલાઇન ટ્રાન્સફર કરેલા ટ્રાન્ઝેક્શન અને વોટ્સએપ ચેટમાંથી પણ ઉઘરાણીઓના પુરાવા મળ્યા છે.
આ ઉપરાંત, ધર્મેશે તેની પત્ની ઉર્મિલાના નામે ખરીદેલી દુકાન ગંભીરદાનને ત્રણ ટકાના વ્યાજે લીધેલી રકમની સુરક્ષા પેટે લખાવી આપી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ધર્મેશે દર મહિને 75,000 રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું હતું અને અત્યારસુધીમાં લગભગ પાંચ લાખ જેટલું વ્યાજ ચૂકવી ચૂક્યો હતો. અનેક લોકોને ધર્મેશે ઓનલાઈન રકમ ટ્રાન્સફર પણ કરી હતી.
આ મામલે પોલીસે 10 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે: હેમુજી ઠાકોર, મેરાભાઈ ભરવાડ, ગંભીરદાન ગઢવી, અંકિત દલાલ, ધીરુ દેકાવાડિયા, મોહન ભરવાડ, હસુજી ઠાકોર, મહેશ પંચાલ, રાઘવદાન ગઢવી અને જયદીપ સોની. મૃત્યુ પામેલા ધર્મેશના પિતા ખેતાભાઈ પંચાલે જણાવ્યું કે મારો એકમાત્ર પુત્ર ધર્મેશે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું છે. તેમણે સરકારને ન્યાય આપવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર