પોરબંદર, 22 જૂન (હિ.સ.) : આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં થયું સરસ્વતી સભાનું આયોજન છેલ્લા 88 વરસથી કન્યા કેળવણીનું કાર્ય કરતી આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં વર્ષ:-2025-26ની પ્રથમ સરસ્વતી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ય કન્યા ગુરુકુલમાં 1941 માં સરસ્વતી સભાની શરૂઆત કરવામાં આવી હતી.
જે આજ દિવસ સુધી અવિરત પણે ચાલી રહી છે. આ સરસ્વતી સભાનું આયોજન દર શનિવારે કરવામાં આવેછે જેમાં દીકરીઓની અંદર રહેલી પ્રતિભા ખીલે તે માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે તથા સફળ મહિલાઓ, લેખકો, વિદ્વાનો વગેરેના વ્યાખ્યાનનું, સંવાદનું આયોજન કરવામાં આવેછે જેથી દીકરીઓને પ્રેરણા અને પાથેય બંને મળી રહે. આ વરસે પણ વરસના પ્રારંભે પ્રથમ શનિવારે પ્રથમ સરસ્વતી સભામાં પોલીસ ઈન્સ્પેકટર કવિતા ઠાકરીયાને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સભાની શરૂઆત મારું જીવન અંજલી થાજો પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ આચાર્યા ડૉ.રંજના મજીઠીયાએ કવિતાબેનનું શાબ્દિક સ્વાગત તથા દીકરીઓએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. પી.આઈ. કવિતા ઠાકરીયાએ સૌ પ્રથમ પોલીસ સબ ઈન્સ્પેકટર,પોલીસ ઈન્સ્પેકટર, પોલીસ કોન્સટેબલ બનવા માટે શું અભ્યાસ કરવો જોઈએ કેવી-કેવી પરીક્ષા પાસ કરવી પડે તે માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ આ સેવામાં કેવી-કેવી ચુનોતી હોય, સંઘર્ષ હોય તેની વાત કરી હતી. પોલીસ ડીપાર્ટમેન્ટમાં દીકરીઓ માટે સેવાની કેવી સુવિધાઓ છે તેની વાત કરી હતી અને ખાસ વર્તમાન સમયમાં દીકરીઓ સાથે બનતા બનાવોથી કેવી રીતે સાવધ રહેવું તેની સમજણ આપી હતી પોતાના અનુભવો પણ શેર કર્યા હતા તેમના સંવાદ પછી પ્રશ્નોતરી હતી જેમાં દીકરીઓએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા તેના કવિતા ઠાકરીયાએ ખૂબજ સરળ શબ્દોમાં સંતોષકારક જવાબો આપ્યા હતા સભાના અંતમાં મદદનીશ શિક્ષિકા પલ્લવીબેન પરમારે ઋણ સ્વીકાર કર્યું હતું અને શાંતિપાઠ દ્વારા સભાનું સમાપન કરવામાં આવ્યું હતું. એમ આચાર્યા ડૉ.રંજના મજીઠીયાએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya