નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.) આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબાલે એ
ગુરુવારે કટોકટીની 50મી વર્ષગાંઠ પર
જણાવ્યું હતું કે,” 1975માં લાદવામાં
આવેલી કટોકટી ભારતીય લોકશાહી માટે સૌથી મોટો ફટકો હતો.”
દત્તાત્રેય હોસબાલે દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર
ખાતે સંસ્કૃતિ મંત્રાલય હેઠળના ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ, આંબેડકર
ઇન્ટરનેશનલ સેન્ટર અને બહુભાષી સમાચાર એજન્સી 'હિન્દુસ્થાન સમાચાર'ના સંયુક્ત નેજા હેઠળ આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી
રહ્યા હતા. તેમણે કહ્યું કે,” કટોકટી દરમિયાન, સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા
જેવા શબ્દો બળજબરીથી બંધારણમાં ઉમેરવામાં આવ્યા હતા, જેના પર આજે પુનર્વિચાર કરવાની જરૂર છે.”
તેમણે કહ્યું કે,” કટોકટી માત્ર સત્તાનો દુરુપયોગ નહોતો, પરંતુ નાગરિક
સ્વતંત્રતાઓને દબાવવાનો પ્રયાસ હતો. લાખો લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા
અને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવ્યો હતો.” તેમણે કહ્યું કે,” કટોકટી
લાદીને બંધારણ અને લોકશાહીને દબાવનારાઓએ આજ સુધી માફી માંગી નથી. જો તેમણે પોતે
આવું ન કર્યું હોય, તો તેમણે પોતાના
પૂર્વજોના નામે માફી માંગવી જોઈએ.”
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે,” રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘ અને તેના વિચારોએ કટોકટીના વિરોધમાં મોટી ભૂમિકા ભજવી હતી. લોકશાહીનું રક્ષણ
સંઘથી પ્રેરિત કાર્યકરોના બલિદાનને કારણે જ શક્ય બન્યું હતું. તેમણે ઈન્દિરા ગાંધી
પર સત્તા બચાવવા અને બંધારણની મૂળ ભાવનાને બદલવા માટે કટોકટી લાદવાનો આરોપ લગાવ્યો.
પ્રેસ, સંસદ અને
ન્યાયતંત્ર પર દબાણ લાવવામાં આવ્યું. તે યુગમાં ભયનું એવું વાતાવરણ હતું કે લોકો
પોતાના અધિકારો માટે અવાજ પણ ઉઠાવી શકતા ન હતા. લોકશાહીના અવાજને દબાવવા માટે દરેક
સ્તરે પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજની પેઢીને તે સમયગાળાના સત્યથી વાકેફ કરાવવું
જરૂરી છે.”
ઈન્દિરા ગાંધી કલા કેન્દ્રના અધ્યક્ષ અને હિન્દુસ્થાન
સમાચારના ગ્રુપ એડિટર રામ બહાદુર રાયે કહ્યું કે,” કટોકટીને માત્ર એક રાજકીય ઘટના
ગણવી પૂરતી નથી, પરંતુ તેની
સત્યતા, વાસ્તવિકતા અને
અંતને ઊંડાણપૂર્વક સમજવો મહત્વપૂર્ણ છે.” તેમણે કહ્યું કે,” સત્ય એ હતું કે, એક
ડરેલી મહિલા (ઈન્દિરા ગાંધી) આખા દેશને ડરાવવાનો પ્રયાસ કરી રહી હતી. વાસ્તવિકતા એ
હતી કે, લોકશાહી વ્યવસ્થાની સમાંતર એક નિયંત્રિત અને દમનકારી શાસન વ્યવસ્થા
સ્થાપિત કરવામાં આવી હતી. આખરે, જનતાએ આ સરમુખત્યારશાહી વ્યવસ્થાને નકારી કાઢી અને લોકશાહી
પુનઃસ્થાપિત કરી.”
'સંવિધાન હત્યા
દિવસ' કાર્યક્રમમાં,
પોતાના સંબોધનમાં, હિન્દુસ્થાન
સમાચારના પ્રમુખ અરવિંદ માર્ડીકરે એજન્સીના ઇતિહાસ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે,”
વિનાયક દામોદર સાવરકર જેવા, મહાન વ્યક્તિઓએ આ સમાચાર એજન્સીની સ્થાપનામાં ભૂમિકા
ભજવી છે. કટોકટી દરમિયાન,
એજન્સીને ઘણું
સહન કરવું પડ્યું હતું અને તેના કારણે એજન્સીની પ્રવૃત્તિઓને સ્થગિત કરવી પડી હતી.
હાઈકોર્ટના હસ્તક્ષેપને કારણે એજન્સી ફરી એકવાર કાર્યરત થઈ શકી હતી.” તેમણે કહ્યું
કે,” આરએસએસ વડા મોહન ભાગવતે એક વખત કહ્યું હતું કે, હિન્દુસ્થાન સમાચારના રૂપમાં
સ્વયંસેવકોનું મન ચાલી રહ્યું છે.”
હિન્દુસ્થાન સમાચારના 'સંવિધાન હત્યા દિવસ' કાર્યક્રમમાં, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ, કટોકટીને
ભારતીય લોકશાહીનો કાળો પ્રકરણ ગણાવ્યો. તેમણે કહ્યું કે,” 25 જૂને દેશમાં એક
રાજકીય ગુનો થયો હતો, જેણે લોકશાહી
મૂલ્યોને ઊંડી ઠેસ પહોંચાડી હતી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,” નવી પેઢી
માટે તે સમયગાળાના સત્ય અને ઘટનાઓને જાણવી જરૂરી છે, કારણ કે, આ આપણને ભવિષ્યમાં લોકશાહીને વધુ
મજબૂત અને જાગૃત બનાવવાની તક આપશે.”
આ સમય દરમિયાન, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સના નેજા હેઠળ ડૉ.
આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કટોકટી પર એક પ્રદર્શન અને એક ટૂંકી ફિલ્મ
દર્શાવવામાં આવી હતી. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મહાસચિવ દત્તાત્રેય હોસાબલે દ્વારા,
કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનથી યુવાનોને તે સમયગાળાની રાજકીય અને સામાજિક
વાસ્તવિકતા જાણવા અને સમજવાની તક મળી.
આ સમય દરમિયાન, હિન્દુસ્થાન સમાચારના પાક્ષિક મેગેઝિન 'યુગવાર્તા' અને કટોકટી પર
કેન્દ્રિત માસિક મેગેઝિન 'નવોથ્થાન' ના મહત્વપૂર્ણ
વિશેષ અંકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વાભિમાન આંદોલનના સ્થાપક પ્રમુખ કે.એન.
ગોવિંદાચાર્ય પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની અધ્યક્ષતા 'હિન્દુસ્થાન
સમાચાર'ના પ્રમુખ અરવિંદ
ભાલચંદ્ર માર્ડીકર દ્વારા કરવામાં આવી હતી. આઈજીએનસીએના સભ્ય સચિવ ડૉ. સચ્ચિદાનંદ
જોશીએ સ્વાગત ભાષણ આપ્યું હતું. ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરના ડિરેક્ટર આકાશ
પાટીલે આભાર વ્યક્ત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ