ગાંધીનગર, 4 જૂન (હિ.સ.) : દેશભરમાં પર્યાવરણના સંવર્ધન,સંરક્ષણ અને વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેકવિધ નવા પર્યાવરણલક્ષી પ્રક્લ્પો તેમજ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ‘એક પેડ માં કે નામ’.
ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તા. 5 જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં અને વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વન વિભાગ દ્વારા ‘સામાજિક વનીકરણ-સોશિયલ ફોરેસ્ટી’ રૂપે અનેકવિધ નવીન પહેલ શરૂ કરવામાં આવી છે.
વન બહારના વિસ્તારોમાં 1143 ચો.કિ.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. પર્યાવરણના જતન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2024- 25માં વન અને પર્યાવરણ વિભાગનું બજેટ જે રૂ. 2586 કરોડ હતું જે આ વર્ષે 2025- 26માં 20 ટકા વધારીને રૂ. 3139 કરોડ કરાયું છે.
પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલના ભાગરૂપે વન વિભાગની સામાજિક વનીકરણ પાંખ દ્વારા સમગ્ર રાજ્યમાં ‘એગ્રો ફોરેસ્ટ્રી’ યોજના અંતર્ગત વર્ષ 2023-24માં અંદાજે 14939.60 હેક્ટર અને વર્ષ 2024- 25માં 31000 હેક્ટર આમ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ 45939 હેક્ટર વિસ્તારમાં ખેડૂતલક્ષી વાવેતર કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ અંતર્ગત ગત વર્ષે વન વિભાગ દ્વારા (1) હરીત વન પથ વાવેતર (2) પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર (3) અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને (4) નર્સરીમાં ટોલ સીડલીંગ એમ ચાર નવીન યોજનાઓમાં પણ અમલી બનાવવામાં આવી છે.
રાજ્યમાં ‘હરિત વન પથ’ યોજના હેઠળ કુલ 70 હેક્ટર વિસ્તારમાં, ‘પંચ૨ત્ન ગ્રામ વાટિકા’ મોડેલ હેઠળ કુલ 1000 ગામડાંઓમાં તેમજ ‘પંચરત્ન વાવેતર મોડેલ’ હેઠળ કુલ 65 અમૃત સરોવર ફરતે વૃક્ષોનું વાવેતર ક૨વામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં કુલ 211 ‘વન કુટીર’, સમગ્ર રાજ્યમાં કુલ 20 ‘પંચવટી કેન્દ્ર’, રાજ્યમાં કુલ 58 ‘પવિત્ર ઉપવન’ તૈયાર ક૨વામાં આવ્યા છે.
વધુમાં સામાજિક વનીકરણ અંગે જાગૃતિ માટે સમગ્ર રાજ્યમાં કુલ 166 ‘કિસાન શિબિર’, કુલ 66 મેડીકલ કેમ્પ તેમજ રાજ્યમાં કુલ 66000 કલમી ફળાઉ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગત વર્ષે શરૂ કરવામાં આવેલ ‘એક પેડ માં કે નામ’ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં 140 કરોડ રોપા વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં નાગરિકો, સંસ્થાઓ, સમુદાય આધારિત સંસ્થાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા વૃક્ષો વાવવાનું ભગીરથ કાર્ય જનભાગીદારીથી હાથ ધરવામાં આવ્યુ હતું. આ લક્ષ્યાંકમાં ગુજરાતે સપ્ટેમ્બર-2024 સુધી 12.20 કરોડ અને માર્ચ 2025 સુધીમાં કુલ 17 કરોડ રોપા રોપીને નવો કિર્તીમાન સ્થાપ્યો છે. સમગ્ર રાજ્યમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત આજ દિન સુધીમાં કુલ 17.48 કરોડ રોપાઓનું વાવેતર કરવામાં
આવ્યું છે.
ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા વૃક્ષ વાવેતરોને સામાન્ય રીતે ‘સાંસ્કૃતિક વનો’ તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃ્ત્વમાં વર્ષ 2004 માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક ‘પુનિત વન’ સાકાર થયું, ત્યારબાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થીમ આધારિત નવા સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ થઈ છે. આ સાંસ્કૃતિક વનો આજે પર્વારણના રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે.
ગુજરાતમાં કુલ 23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ ક૨વામાં આવ્યું છે. છેલ્લે ગત વર્ષ 2024માં 75માં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી દરમિયાન દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે ‘હરસિદ્ધિ વન’નું મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં રાષ્ટ્રીય વૃક્ષ વડના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને લોકહૃદયમાં સ્થાપિત કરવા માટે કુલ 82 સ્થળોએ ‘નમો વડ’ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં કુલ 300 હેક્ટર વિસ્તારમાં 207 વન કવચ તૈયાર ક૨વામાં આવ્યા છે.
સમુદ્ર કિનારે આવેલા ખારાપટ અને બંજર એવા ધોલેરા વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવીન ગ્રીન પ્રકલ્પના ભાગરૂપે ધોલેરા SIR ખાતે 25 હેક્ટરમાં વન કવચ-માઇક્રો ફોરેસ્ટ તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઐતિહાસિક બંદર એવા લોથલ ખાતે એપ્રોચ રોડ પર 20 હજારથી વધુ વૃક્ષો તેમજ ‘નેશનલ હેરિટેજ મેરિટાઈમ કોમ્પ્લેક્ષ’ની આસપાસ પાંચ હેક્ટર વિસ્તારમાં વન કવચનું નિર્માણ કરવામાં આવશે તેમ, વન વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ