પાટણ, 9 જૂન (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પાટણ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આગામી 21 જૂન, 2025ના રોજ યોજાનાર કાર્યક્રમ માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે યોગને ભારતની પ્રાચીન પરંપરાનો અમૂલ્ય વારસો ગણાવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તેનું મહત્વ સ્પષ્ટ કર્યું હતું. સાથે સાથે તેમણે ગ્રામપંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આચાર સંહિતાનું પાલન સુનિશ્ચિત કરવાની સૂચનાઓ આપી હતી.
જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તમામ તાલુકાઓમાં જુદાં-જુદાં સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાશે, તેમજ રાણીની વાવ અને બિંદુ સરોવર જેવા હેરિટેજ સ્થળો પર પણ યોગ સત્રો યોજાશે. શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, પોલીસ દળ અને સ્વૈચ્છિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી રહેશે. કાર્યક્રમ સ્થળે પીવાનું પાણી, શૌચાલય, તબીબી સહાય અને પાર્કિંગ જેવી જરૂરિયાતોની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, મામલતદારો, નગરપાલિકાના અધિકારીઓ, આરોગ્ય અને શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ યોગ અને સામાજિક સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર