ગીર સોમનાથ, 27 જુલાઈ (હિ.સ.) નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ના પાંચ વર્ષ પૂર્ણ થયાની પહેલ તરીકે અને વિઝનને સાકાર કરવા ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં પહેલી ઓગસ્ટથી વેરાવળ, ઉના અને કોડીનાર ખાતે દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ યોજાશે.
ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં પહેલી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન વેરાવળ ખાતે વેરાવળ અને તાલાલા તાલુકાનો, બીજી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન ઉના ખાતે ઉના અને ગીરગઢડાનો તેમજ ચોથી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન કોડીનાર ખાતે કોડીનાર અને સૂત્રાપાડાનો મેગા એસેસમેન્ટ કેમ્પ સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષા સમાગમ દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે અઠવાડિયા દરમિયાન ઓળખ, મૂલ્યાંકન અને ઉપકરણ (સાધન) વિતરણ માટે મેગા કેમ્પ યોજાશે. કોઈપણ બાળક દિવ્યાંગ બાળક કેમ્પનો લાભ લીધા વગર રહી ન જાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સમગ્ર શિક્ષા ગીર સોમનાથ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટરની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ