ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડી તેને મુખ્ય ધારામાં લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વિવિધ જનસુરક્ષા યોજનાઓના લાભ તમામ જરૂરતમંદ લોકોને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી રાજ્યભરમાં 'જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન'નો પ્રારંભ થયો છે.
આ સંદર્ભે આ યોજનાઓના લાભ જિલ્લાના નાગરિકોને મળે તે માટે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં આજે જિલ્લાના બેન્કર્સ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે આ યોજના તળેના લાભ કઈ રીતે છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તે માટે કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી.
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે આ બેઠકમાં ઉપસ્થિત બેન્કર્સને તા. ૦૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૫ એટલે કે ત્રણ માસ સુધી ચાલનારા આ અભિયાન અન્વયે ગ્રામ્ય વિસ્તારમાં જનકલ્યાણલક્ષી યોજનાઓનો ગ્રામજનો ખાસ લાભ લે અને યોજનાઓના લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરએ વધુમાં જણાવ્યું કે, જરૂરતમંદ લાભાર્થીઓ સુધી આ યોજનાઓના લાભો પહોંચાડીને છેવાડાના માનવીના સામાજિક-આર્થિક જીવનમાં પરિવર્તન માટેના વાહક બનવાની આપણને તક મળી છે. તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
ઉલ્લેખનીય એ છે કે, આ અભિયાન અંતર્ગત જિલ્લાની બેંકો દ્વારા આગામી ત્રણ માસ દરમિયાન ગામેગામ કેમ્પ યોજીને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના સહિતના લાભો આપવામાં આવનાર છે ત્યારે ગ્રામજનોએ તેનો મહત્તમ લાભ લેવો જોઈએ તે માટેની અપીલ પણ જિલ્લા કલેક્ટરએ કરી છે.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને લીડ બેન્કર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ