અમરેલી,17 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી પંથકના મીઠુડા અને મોંધેરા વિસ્તારમાં એક ખેડૂત દંપતીએ પ્રાકૃતિક ઢબે અંજીરની ખેતી કરીને નવો માપદંડ સ્થાપ્યો છે. મોટા આંકડીયાના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ સવસૈયાએ મલેશીયન જાતના અંજીરની ખેતી શરૂ કરી છે. તેમણે પોતાની ચાર એકર જમીનમાં આશરે 3,400 જેટલા અંજીર પ્લાન્ટનું વાવેતર કર્યું છે.
દિનેશભાઈએ જણાવ્યું કે તેઓ પરંપરાગત પાક કરતા અલગ કંઈક નવીન પ્રયત્ન કરવા ઈચ્છતા હતા. અંજીરનો પાક ઓછા પાણીમાં અને ઓછી જાળવણીમાં સારો ફળીભૂત થાય છે. સાથે જ પ્રાકૃતિક ખેતીના કારણે ફળની ગુણવત્તા જાળવાય છે અને બજારમાં સારો ભાવ પણ મળે છે. હાલ તેઓ મલેશીયન જાતના અંજીરથી વર્ષમાં આશરે રૂ. 22 લાખની આવક મેળવી રહ્યા છે.
અંજીર ફળ આરોગ્ય માટે લાભદાયી હોવાથી તેની માંગ સ્થાનિક બજારો સાથે શહેરોમાં પણ વધી રહી છે. દિનેશભાઈએ વેપારી તરીકે પણ ઓળખ ઉભી કરી છે. તેઓ સીધો ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે, જેના કારણે મધ્યસ્થી વગર સારો નફો મળે છે.
દિનેશભાઈ સવસૈયાની આ સફળતા માત્ર તેમની માટે નહીં પરંતુ આસપાસના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. પ્રાકૃતિક ખેતીથી ઓછી જમીન અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે તેનું જીવંત ઉદાહરણ તેઓએ પૂરું પાડ્યું છે.
આ રીતે અંજીરની ખેતીથી અમરેલી પંથકમાં ખેતીનો નવો માર્ગ ખુલ્યો છે અને ખેડૂતો માટે વૈકલ્પિક પાકની તકો વધારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai