
મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) ઉનાળાની ઋતુમાં તાપમાન વધતા પશુઓ પર ગરમીનો પ્રભાવ વધુ જોવા મળે છે. ખાસ કરીને ગ્રીષ્મ લહેર દરમિયાન પશુઓમાં તણાવ, તંદુરસ્તીમાં બગાડ તેમજ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. તેથી પશુપાલકોને આ સમયગાળા દરમિયાન પશુઓની ખાસ કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો સમય સૌથી વધુ ગરમીવાળો હોય છે. આ દરમિયાન પશુઓને તડકામાં રાખવા કરતાં છાંયાવાળી અને હવા ઉજાસવાળી જગ્યાએ રાખવું જોઈએ. પશુઓના શેડમાં હવાની યોગ્ય અવરજવર રહે તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવા તેમજ શેડની છતને પરાળી અથવા અન્ય સામગ્રીથી ઢાંકી દેવી લાભદાયી રહે છે.
ગરમીના સમયમાં પશુઓને સ્વચ્છ અને ઠંડું પીવાનું પાણી પૂરતું મળે તે ખૂબ જરૂરી છે. પશુઓને દિવસમાં ઓછામાં ઓછું એક વખત સ્નાન કરાવવું અને શક્ય હોય તો વહેલી સવારે અથવા સાંજે ચરાવવા લઈ જવું જોઈએ. ઉપરાંત લીલાચારાની સાથે ગુણવત્તાવાળો ખોરાક અને પૂરક આહાર આપવાથી પશુઓની તંદુરસ્તી જળવાઈ રહે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે નાના, ગાભણ અને દૂધાળા પશુઓની વિશેષ કાળજી રાખવી જોઈએ. સમયસર યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો ગ્રીષ્મ લહેર દરમિયાન પણ પશુઓને ગરમીના તણાવથી બચાવી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR