
ભાવનગર, 29 માર્ચ (હિ.સ.) : ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રતનું ભાવનગર આગમન નિમિત્તે ભાવનગર એરપોર્ટ ખાતે ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર આગમન સાથે જ રાજ્યના પ્રતિનિધિઓ અને જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ રાજયપાલને પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યો હતો.
આ સ્વાગત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી, કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, કમિશનર નરેન્દ્રકુમાર મીના તેમજ નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર ધવલ પંડ્યાએ પણ ઉપસ્થિત રહી સ્વાગત વિધિમાં ભાગ લીધો હતો.
આ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજ સહિતના શૈક્ષણિક અને પ્રશાસનિક અગ્રણીઓએ પણ રાજયપાલનું હાર્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌરવપૂર્ણ અને ઉષ્માભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT