
નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.). વૈશ્વિક સંઘર્ષ અને ઉર્જા સંકટ પર ચિંતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારના મન કી બાત કાર્યક્રમમાં ફરી એકવાર દેશવાસીઓને અફવાઓને અવગણવા અને એકતા જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સંઘર્ષને કારણે પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા પર અસર પડી રહી છે. આવા સમયે, અફવાઓથી દૂર રહેવું અને સત્તાવાર માહિતી પર આધાર રાખવો મહત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રી મોદીએ, આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત ના 132મા એપિસોડમાં આ ટિપ્પણીઓ કરી. તેમણે સંઘર્ષનો સામનો કરવા માટે ગલ્ફ દેશો અને ત્યાં રહેતા ભારતીયોને આપવામાં આવેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, વિશ્વની ઉર્જા જરૂરિયાતો આ પ્રદેશ સાથે જોડાયેલી છે, જે વર્તમાન સંઘર્ષથી પ્રભાવિત છે. તેમણે કહ્યું કે, ભારત પરિસ્થિતિને સંબોધવા માટે તેના આંતરરાષ્ટ્રીય સંબંધોનો લાભ લઈ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ, આ મુદ્દાને રાજકીયકરણ કરવાનું ટાળવાની સલાહ આપી. તેમણે જણાવ્યું હતું કે, આ 140 કરોડ લોકોનો મુદ્દો છે, અને સ્વાર્થી રાજકારણને તેમાં કોઈ સ્થાન નથી. તેમણે અફવા ફેલાવનારાઓને દેશ માટે હાનિકારક ગણાવ્યા અને નાગરિકોને ફક્ત સરકારી માહિતી પર વિશ્વાસ કરવા વિનંતી કરી. નોંધનીય છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા પર અસર પડી રહી છે, જેના કારણે ઘણા દેશોમાં બળતણ સંકટ સર્જાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ