
પાટણ, 16 એપ્રિલ (હિ.સ.)ચંદ્રુમાણા સ્થિત શ્રી ગૌરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક પ્રમુખ ચેતનભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં પાટોત્સવની તૈયારીઓ, વિવિધ જવાબદારીઓ અને ભક્તો માટેની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન સ્વર્ગસ્થ બબીબેન અને કુબેરભાઈના સ્મરણાર્થે તેમના પુત્રો હરેશભાઈ અને આશિષભાઈ પટેલ દ્વારા માતાજીને 125 કિલોનું ભવ્ય ઝુમ્મર ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને સૌએ હર્ષોલ્લાસથી વધાવી લીધી.
આ ઉપરાંત, અમદાવાદની એક મહિલા શ્રદ્ધાળુ દ્વારા પૂજિત ધજા પાટોત્સવના દિવસે મંદિરના શિખર પર આરોહિત કરવામાં આવશે. આ ધજા તેમના ઘરે પૂજામાં રાખવામાં આવી હતી, જે આ પ્રસંગને વધુ ધાર્મિક મહત્તા આપે છે.
પાટોત્સવ નિમિત્તે ભક્તો માટે પાર્કિંગ, ભોજન, પાણી, વીજળી, મંડપ અને સ્વાગત જેવી સુવિધાઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને 30થી વધુ એરકુલર તથા પાર્કિંગ માટે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા પણ કરાશે.
બેઠકમાં ગત સભાની કાર્યવાહી અને વર્ષ 2025-26ના હિસાબો રજૂ કરાયા હતા. સાથે જ રાસ ગરબા આયોજન, વધુ લોકો જોડાય તે માટેના પ્રયાસો અને અખાત્રીજે ખાસ ચા-નાસ્તાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ