

અમરેલી, 16 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ચાવંડ સીટ પર રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. જેનીબેન ઠુમરે કરેલા ટ્વીટ દ્વારા ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તણાવ વધુ તેજ બન્યો છે. ટ્વીટમાં તેમણે આક્ષેપ કર્યો કે લોકપ્રિય કલાકાર માયાભાઈ આહિરની દીકરી, જે ભાજપમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં છે, તેમની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વડીલ શાંતુબેન ડેરના કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા જ તોડફોડ કરવામાં આવી અને પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા.
જેનીબેન ઠુમરે આ ઘટનાને અત્યંત નિંદનીય ગણાવી છે અને જણાવ્યું છે કે કોંગ્રેસની ઉમેદવારી ખેંચવા માટે અનેક પ્રયાસો થયા છતાં સફળતા મળી નહોતી, ત્યારબાદ આ પ્રકારની ઘટના સામે આવી છે. તેમણે માયાભાઈ આહિરને સંબોધતા લખ્યું કે આપ ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરો છો, પરંતુ આવી ઘટનાઓ આપના પરિવાર અને વેવાઈ વચ્ચે કથની અને કરણીમાં મોટો તફાવત દર્શાવે છે.
આ ઘટનાને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને સત્તાવાર રીતે શું નિવેદન આવે છે, તે જોવું રહ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai