
- 16 અલગ-અલગ કેટેગરીમાં 32 એવોર્ડ્સ આપી ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવશે.
- 1400થી વધુ રજિસ્ટ્રેશન,10 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઉભરતા ક્રિએટર્સ માટે પણ ઉત્તમ તક.
- ક્રિએટર્સ માટે માસ્ટર ક્લાસ અને વર્કશોપનું ખાસ આયોજન.
- દાહોદ અને ડાંગ જિલ્લામાંથી પણ એન્ટ્રી
અમદાવાદ,03 એપ્રિલ (હિ.સ.) સોશિયલ મીડિયાના યુગમાં ક્રિએટીવ કન્ટેન્ટ થકી રાષ્ટ્ર અને સમાજને નવી દિશા મળી રહી તે હેતુથી વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા ગુજરાતનો સૌથી મોટો ક્રિએટિવ ફેસ્ટ ‘સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. 5 એપ્રિલ, 2026 રવિવારે સપ્તરંગ ક્રિએટર્સ કોમ્યુનિટીના માધ્યમથી યોજાનાર આ સોશિયલ મીડિયા ક્રિએટિવ ફેસ્ટમાં પહેલીવાર ગુજરાતભર માંથી 1400થી વઘુ ક્રિએટર્સે એક મંચ પર ભેગા થશે.
ઉભરતા ક્રિએટર્સને પણ એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી 10 હજાર કે તેનાથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સને પણ મંચ મળી રહે તે માટેનો વિચાર કરવામાં આવ્યો છે, જેથી આ ફેસ્ટમાં 10 હજાર કે તેનાથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સે 16 અલગ અલગ કેટેગરીમાં પોતાનું નોમિનેશન કર્યું છે. જ્યારે 1 લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સે પણ 16 કેટેગરીમાં પોતાનું નોમિનેશન કર્યું છે.
આ આયોજન અંગે માહિતી આપતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલે જણાવ્યું હતું કે, આજનો યુગ ડિજિટલ ક્રાંતિનો છે એટલા જ માટે અમારો ઉદ્દેશ્ય માત્ર પ્રખ્યાત ચહેરાઓ ને સ્ટેજ આપવાનો નથી, પરંતુ એવા નાના અને ઉભરતા ક્રિએટર્સને પણ પ્રોત્સાહન આપવાનો છે. જેઓ પાયાના સ્તરે અદભૂત કામ કરી રહ્યા છે. 10 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને આ પ્લેટફોર્મ આપીને અમે તેમનામાં રહેલી કળાને પ્રોત્સાહન આપી એક સારા ક્રિએટર તરીકે ઉભરે તેવો પ્રયાસ કરી રહ્યાં છીએ.
એટલું જ નહીં અમે બે કેટેગરી પણ રાખી છે જેમાં 10 હજારથી 1 લાખ ફોલોવર્સ ધરાવતા ક્રિએટ્સને “રાઈઝિંગ ક્રિએટ્સ” તરીકે નામ આપ્યું છે જ્યારે 1 લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સને “સ્ટાર ક્રિએટર્સ” નામ આપ્યું છે. આ બંને કેટેગરીમાં 16-16 મળીને કુલ 32 ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવશે.
પોડકાસ્ટર અને એન્ટ્રપ્રેન્યોર જય થડેશ્વરે જણાવ્યું કે, એક પોડકાસ્ટર તરીકે હું ખૂબ જ ખુશી વ્યક્ત કરું છું કે, ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારનો આટલા મોટા સ્કેલ પર ક્રિએટર્સ માટે કાર્યક્રમ થઈ રહ્યો છે. આ ફેસ્ટ માત્ર ક્રિએટર્સને એવોર્ડ આપીને સન્માનિત કરવા પૂરતો સિમિત નહીં રહે તેની સાથે સાથે ગુજરાત અને દેશના ફેમસ ક્રિએટર્સ દ્વારા ખાસ વર્કશોપ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેમાં રિલ્સના વાઈરલથી લઈને મોનિટાઈઝેશન સુધી, કન્ટેન્ટ ક્રિએશનથી કારકિર્દી બનાવવા સુધીનું જ્ઞાન આપવામાં આવશે. જ્યારે યંગ ઈન્ડિયન ડાયલોગ્સ વિષય પર માસ્ટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ 5 એપ્રિલ 2026ના રોજ સવારે 9 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા દરમિયાન ડૉ. આંબેડકર યુનિવર્સિટી ખાતે યોજાનાર છે. જેમાં અનેક ફેમસ ક્રિએટર્સ પણ ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ