



સુરત/અમદાવાદ,25 મે (હિ.સ.) સુરતના ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં 24 મે 2026ના રોજ રાષ્ટ્ર સેવિકા સમિતિ, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સમિતિ શિક્ષા વર્ગ–પ્રવેશ અને ઘોષનો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો. સમિતિ શિક્ષા વર્ગ દરમ્યાન સેવિકાઓના બૌદ્ધિક, શારીરિક અને માનસિક ક્ષમતાઓ વિકસિત થાય એ હેતુથી દૈનિદિન કાર્યક્રમોનું નિયોજન થાય છે.
પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાતના 37 સ્થાનથી 81 સેવિકાઓ પ્રશિક્ષણ હેતુ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે સમારોપના મુખ્ય અતિથિ રોજગાર કચેરીના મદદનીશ નિયામક પારૂલ પટેલ એ જણાવ્યું કે સફળતાનો એક મંત્ર યાદ રાખીએ, કોઈ પણ પરિસ્થિતિમાં લડવું, ઝૂઝવું અને સફળ થવું. જીવનમાં આગળ વધશો તો એવા ઘણા પડાવો પર મુશ્કેલી આવશે પણ વિશ્વાસ રાખજો અને નીતિથી ચાલજો, કુદરત સદૈવ સહાયરૂપ થશે.
વર્ગના સમારોપમાં મુખ્ય વક્તા રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રમુખ સંચાલિકા શાંતા અકકા એ સંબોધનમાં જણાવ્યું કે, આત્મવિશ્વાસ હોય તો કોઈ કઠિન પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય. આપણાં ઋષિમુનિઓ કહેતા હતા આખું વિશ્વ કણોથી નિર્મિત છે. પરસ્પર સંબંધિત, પરસ્પર સંપતિ અને પરસ્પરાવલંબી છે એટલે આખું વિશ્વ મારો પરિવાર છે એવી ભાવના આપણી સંસ્કૃતિમાં છે.
મહિલાઓએ સ્વરક્ષણક્ષમ બનવા માટે આ પ્રશિક્ષણ આવશ્યક છે. આ સંસ્કારો કેવળ શાખા અને વર્ગ સુધી સીમિત નહીં પરંતુ આપણાં જીવનના પ્રત્યેક વ્યવહારમાં પ્રગટ થાય છે. ભારતીય સંસ્કૃતિ એક પુણ્ય પ્રવાહ છે.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાંતના દરેક જિલ્લાઓમાંથી રાષ્ટ્ર સેવિકા સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 15 દિવસ દરમ્યાન બહેનોએ શીખેલ દંડ, નિયુદ્ધ, યષ્ટિ, વ્યાયામ યોગ, દેશભક્તિ ગીત જેવા પ્રાત્યક્ષિકથી આખું વાતાવરણ શૌર્યમય બન્યું હતું. સાથે જ 14 વર્ષથી 60 વર્ષ સુધીની સેવિકાઓને ઘોષવાદન કરતાં જોઈ પ્રેક્ષકોમાં ઉર્જાનો સંચાર થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ