
તેહરાન/વોશિંગ્ટન, નવી દિલ્હી, 28 મે (હિ.સ.) ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ સમજૂતીની વાટાઘાટો વચ્ચે હોર્મુઝ સમુદ્રધુનીની આસપાસ તણાવ વધવાથી સ્થિતિ ગંભીર બની ગઈ છે. અહેવાલ છે કે, 27-28 મેની મધ્યરાત્રિએ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ની નૌસેનાએ અમેરિકાના એક ટેન્કર (જહાજ) પર ગોળીબાર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ટેન્કરે રડાર સિસ્ટમ બંધ કરીને હોર્મુઝ સમુદ્રધુનીમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. તેના જવાબમાં અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસની આસપાસ ગોળીબાર કર્યો. બંદર અબ્બાસ દક્ષિણ ઈરાનનું મુખ્ય બંદર શહેર છે. તે હોર્મુઝ સમુદ્રધુની પર આવેલું છે.
અલ જઝીરા, તસ્નીમ, એબીસી ન્યૂઝ અને સીએબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, બંદર અબ્બાસ નજીક થયેલા ધડાકાની ઘટના પર ઈરાને હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટનાક્રમ બંને દેશો વચ્ચે ચાલી રહેલા કામચલાઉ યુદ્ધવિરામ માટે એક પડકાર છે. અધિકારીઓએ આ હુમલાઓને રક્ષણાત્મક ગણાવ્યા હતા. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે, હુમલામાં ચાર ઈરાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. બંદર અબ્બાસના બંદર શહેરમાં એક ભૂગર્ભ કંટ્રોલ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. અહીંથી પાંચમું ડ્રોન લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી.
આ હુમલા દક્ષિણ ઈરાન પર સ્વબચાવમાં કરવામાં આવેલા હુમલાના બરાબર બે દિવસ પછી થયા છે. બે દિવસ પહેલા મિસાઈલ લોન્ચ સાઇટ્સ અને ઈરાની બોટોને નિશાન બનાવવામાં આવી હતી. આ સમયે હોર્મુઝ યુદ્ધના મેદાન જેવું બની ગયું છે. બંદર અબ્બાસ બંદર પાસે થયેલા ધડાકાથી ભારે દહેશત છે. આ દરમિયાન ઓવલ ઓફિસમાં પરત ફર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેબિનેટ બેઠક યોજી છે. બેઠકમાં ઈરાન સાથેની વાતચીતનો મુદ્દો સૌથી વધુ હાવી રહ્યો હતો. આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે ટ્રમ્પ પર રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંનેનું ભારે દબાણ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ એક ઉત્તમ સમજૂતી કરવા માંગે છે. એવી સમજૂતી જે સંતોષકારક ન હોય અને અમેરિકી હિતોને પૂર્ણ ન કરતી હોય, તે તેમને મંજૂર નથી.
યાદ રહે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 28 ફેબ્રુઆરીએ ઈરાન સામે મોટા પાયે સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. ત્યારબાદ અમેરિકા અને ઈઝરાયલે મળીને સૈન્ય, સરકારી અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવીને જોરદાર હુમલા કર્યા હતા. આ પછી બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. એપ્રિલમાં પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી પ્રારંભિક વાતચીત કોઈ શાંતિ સમજૂતી સુધી પહોંચવામાં અસફળ રહી હતી. બાદમાં ટ્રમ્પે યુદ્ધવિરામને અનિશ્ચિત સમય માટે લંબાવવાની અને જ્યાં સુધી વાતચીત પૂર્ણ ન થાય ત્યાં સુધી અમેરિકી નાકાબંધી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ