
જૂનાગઢ, 29 મે (હિ.સ.) : વિશ્વભરમાં એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરમાં વનરાજની સુરક્ષાને લઈને એક ચોંકાવનારો અને ચિંતાજનક ખુલાસો સામે આવ્યો છે. ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં સિંહોના મોતની ઘટનાઓ વધતા વન વિભાગમાં ચિંતા વધી છે. અત્યાર સુધીમાં કુલ 12 સિંહોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
ગીર નેશનલ પાર્કના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં સિંહોના સતત થઈ રહેલા મોતને લઈને વન વિભાગમાં ભારે ચિંતા ફેલાઈ છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઠવાડિયાએ આ અંગે તાજેતરની માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, બાબરકોટ અમરેલીના વિસ્તારમાં 12 સિંહોના મૃત્યું થયા છે.
અર્જુન મોઠવાડિયાએ કેસ અંગે જણાવ્યુ કે, બાબરકોટ અમરેલીના વિસ્તારમાં 12 સિંહોના મૃત્યું થયા છે. આ બાળ સિંહ કબને શંકાસ્પદ બેબીસિયા નામનો રોગથી મોત થવાની ધારણા કરવામાં આવે છે. આ પછી તરત જ ત્યાં ડોક્ટરો અને વનવિભાગની ટીમ પહોંચી ગઈ છે.
આ સિંહોના સેમ્પલ તપાસવા માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલી દીધા છે. આ રિપોર્ટ આગામી ત્રણથી ચાર દિવસમાં મળે તેવી સંભાવના છે. છેલ્લા બે દિવસથી આ ઘટનામાં વધારો નથી થયો. વન વિભાગની ટીમ સાથે જૂનાગઢની વેટરનિટી કોલેજના ડોક્ટરો ત્યાં પહોંચી ગયા હતા. આ ટીમે 10 કિમીમાં રહેતા સિંહને આઇસોલેટ કર્યા છે.
વન વિભાગે સાવચેતીના ભાગરૂપે હાલ 17 સિંહોને ક્વોરન્ટાઈન કર્યા છે. જેમાંથી 8 સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું જણાવાયું છે. હાલ વેટરનરી ડોક્ટરોની ટીમ સંક્રમિત સિંહોની સારવારમાં દિવસ-રાત વ્યસ્ત છે.
ગીર જંગલ વિસ્તારમાં આશરે 10 કિલોમીટરની ત્રિજિયામાં ખાસ મોનીટરીંગ હાથ ધરાયું છે. સિંહો પહેલેથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગે મોટી સંખ્યામાં માનવબળ ગીર વિસ્તારમાં તૈનાત કર્યું છે.
ગીરના જંગલમાં સિંહો પર બેબીસીયા નામના જીવલેણ રોગચાળાનું સંકટ તોળાવા માંડતા 2018માં અમેરિકાથી મંગાવાયેલી વેક્સિન આપવાનું યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા હાલમાં 22 સિંહોને કડક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
વન વિભાગ દ્વારા સિંહોના લોહીના નમૂના લઈ તાત્કાલિક લેબ ટેસ્ટિંગ, ઇતરડીના નાશ માટે જંગલના ચોક્કસ વિસ્તારોમાં એન્ટી-ટિક સ્પ્રેની કામગીરી અને સંક્રમિત સિંહોને આઇસોલેટ કરીને ઇન્જેક્શન આપવાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં મૂકવામાં આવી છે.
વેરાવળ રેન્જ હેઠળના ચોરવાડથી મૂળદ્વારકા સુધીના 50 કિમી વિસ્તારમાં 20 સિંહો વસવાટ કરતા હોય ત્યારે તેમની પર વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને તેમની હિલચાલમાં કઈ પણ શંકાસ્પદ દેખાય તો તેમને તરત રેસ્ક્યુ કરાશે.
વેરાવળ રેન્જના ઈન્ચાર્જ એસીએફ યોગેશ કાલસરીયાએ જણાવ્યું હતું કે, વેરાવળ રેન્જના ચોરવાડથી મુળદ્વારકા સુધીના વિસ્તારના 20 સિંહો પર વનવિભાગના સ્ટાફ, વનરક્ષક, વનપાલ તેમજ ટ્રેકર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળી નથી
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ