
- સરકારી અને અનુદાનિત શાળાઓના પ્રભાવિત વિદ્યાર્થીઓને અપાશે નવા પાઠ્યપુસ્તક
ગાંધીનગર, 27 જુલાઇ (હિ.સ.) : રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એક વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. અતિવૃષ્ટિના કારણે જે ઘરોમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો પલળી ગયા છે કે નુકસાન પામ્યા હોય તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે.
શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશિષ્ટ આયોજન પાછળનો મુખ્ય હેતુ અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોનું શિક્ષણ અટકે નહીં અને તેમનો અભ્યાસ સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
આ સંદર્ભે વધુ વિગતો આપતાં રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિથી પ્રભાવિત તમામ વિસ્તારોની સરકારી તેમજ અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અતિવૃષ્ટિના કારણે નુકસાન પામેલા પાઠ્યપુસ્તકોની સચોટ વિગતો મેળવીને સત્વરે પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવા જણાવવામાં આવ્યુ છે.
જિલ્લા કક્ષાએથી માંગણી પત્રક મળતાની સાથે જ મંડળ દ્વારા વિનામૂલ્યે પાઠ્યપુસ્તકોનો જથ્થો પ્રભાવિત શાળાઓ સુધી ઝડપથી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યના તમામ અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોના વાલીઓ અને વિદ્યાર્થીઓને પુસ્તકોના નુકસાન અંગે ચિંતા કરવાની જરૂર નથી. જે વિદ્યાર્થીઓના પુસ્તકો ખરાબ થયા હોય, તેમણે ત્વરિત પોતાની સંબંધિત શાળા અથવા જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ