
- અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને પશુઓના આરોગ્યની સ્થળ પર ચકાસણી કરી
તાપી,28 જુલાઇ (હિ.સ.) તાપી જિલ્લામાં ચોમાસા અને ભારે વરસાદની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશુપાલન વિભાગ દ્વારા પશુઓના આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
આ તકે સોનગઢ તાલુકાના ટોકરવા ગામના પશુપાલક સેવંતાબેન સુરેન્દ્ર ગામીતે જણાવ્યું કે, પશુપાલન વિભાગની ટીમ અમારા ઘરે આવી હતી.
તેમણે પશુઓના આરોગ્યની તપાસ કરી અને ભારે વરસાદ કે, આપત્તિ જેવી સ્થિતિમાં પશુઓની કેવી રીતે કાળજી રાખવી તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. વરસાદી માહોલમાં પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ અમારા પશુઓની પણ ચિંતા કરી અને સમયસર માર્ગદર્શન પૂરું પાડ્યું, તે બદલ હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આ ઝુંબેશ અંતર્ગત તાપી જિલ્લાના તમામ અસરગ્રસ્ત તાલુકાઓ અને ગામોની મુલાકાત લઈને અધિકારીઓ તથા પશુચિકિત્સકોની ટીમે સ્થળ પર જઈ પશુઓના આરોગ્યની ચકાસણી કરી હતી તેમજ પશુપાલકોને વરસાદી પરિસ્થિતિમાં પશુઓની યોગ્ય કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પશુચિકિત્સકોએ પશુપાલકો સાથે સીધો સંવાદ સાધી ભારે વરસાદ અથવા પાણી ભરાવાની સ્થિતિમાં પશુઓને તાત્કાલિક સલામત અને ઊંચાણવાળા સ્થળે ખસેડવા, ખુલ્લામાં ન બાંધી તબેલા અથવા શેડમાં રાખવા, તબેલા તથા આસપાસના વિસ્તારની સ્વચ્છતા જાળવવા, ઘાસચારો અને ખાણ-દાણ ભીંજાય નહીં તે માટે સૂકી અને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવા તેમજ ચોમાસામાં ફેલાતા વિવિધ રોગચાળાથી પશુઓનું રક્ષણ થાય તે માટે જરૂરી સાવચેતી રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
નોંધનીય છે કે, તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના માર્ગદર્શન અને નાયબ પશુપાલન નિયામક ડો. રાધા પઢેરના નેતૃત્વમાં પશુપાલન વિભાગની સંપૂર્ણ ટીમે પરિણામલક્ષી કામગીરી કરી છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ દરમિયાન પશુપાલન વિભાગની ટીમો દ્વારા તાપી જિલ્લાના 8 તાલુકાઓના 251 ગામોના 15 હજાર થી પણ વધુ પશુઓની સ્થળ પર જ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને ચોમાસા દરમિયાન થતા રોગચાળા સામે રક્ષણ મેળવી શકાય તે માટે પશુઓને કૃમિનાશક દવાઓ આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ