જૂનાગઢ ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ, 28 ઓગસ્ટ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણીના બિજા દિવસે ગવર્નમેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે તેજસ્વી વિદ્ય
જૂનાગઢ ખાતે સંસ્કૃત સપ્તાહ


જૂનાગઢ, 28 ઓગસ્ટ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણીના બિજા દિવસે ગવર્નમેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને ગૌરવની ભાવના કેળવવા તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત ભાષાના સંવર્ધન અને શિક્ષણના વ્યાપને દરેક લોકો સુધી પહોંચાડવાનો હતો. આ પ્રસંગે સંસ્કૃત વિષયમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષામાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના ડો. મૌલિકભાઈ કેલૈયા અને ડો. અજયભાઈ જાદવ, સરકારી વિનયન કોલેજ, ભેંસાણના ડો. હાર્દિકભાઈ રાજ્યગુરુ તેમજ સરકારી સંસ્કૃત પાઠશાળા, જૂનાગઢના આચાર્ય જયદેવકુમાર શિશાંગીયા ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ સંસ્કૃત ભાષાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે પ્રેરણા પૂરી પાડી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ અધિકારી કોકિલાબેન ઉંધાડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડાભી દક્ષાબેન દ્વારા સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાનો વિશેષ માહોલ સર્જાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande