
ભાવનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં જાળિયા ખાતે આવેલા શ્રી શિવકુંજ આશ્રમમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે શ્રાવણ માસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે પૂજ્ય મોરારિબાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.યજ્ઞ પ્રસંગે પૂજ્ય મોરારિબાપુ દ્વારા શિવજીનું પૂજન તથા વંદના કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે યોજાયેલા યજ્ઞમાં મોરારિબાપુએ શ્રદ્ધાપૂર્વક આહુતિઓ અર્પણ કરી હતી.
આ પ્રસંગે આશ્રમ પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું.શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ માસ દરમિયાન ભક્તો વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો, પૂજન, જપ, તપ અને યજ્ઞ જેવા કાર્યક્રમો દ્વારા શિવભક્તિમાં લીન થતા હોય છે. શ્રી શિવકુંજ આશ્રમ ખાતે આયોજિત યજ્ઞમાં પણ શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે શ્રી વિશ્વાનંદ માતાજી તેમજ આશ્રમ સાથે જોડાયેલા ભૂદેવો અને આશ્રમ પરિવાર દ્વારા પૂજ્ય મોરારિબાપુનું ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું હતું. આશ્રમ પરિવાર દ્વારા મોરારિબાપુનું સન્માન અને સ્વાગત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
શ્રાવણ માસના પવિત્ર અવસરે યોજાયેલા આ યજ્ઞમાં મંત્રોચ્ચાર, પૂજન અને આહુતિઓથી સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત ભક્તોએ ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરી સૌના સુખ, શાંતિ અને કલ્યાણની કામના કરી હતી. આ પ્રસંગ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ભાવનાનો સુંદર સંગમ બની રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA