
- આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે ભાડે અપાતાં આવાસોના કિસ્સામાં જિલ્લા કલેકટરને યોગ્ય તપાસ કરીને કડક કાર્યવાહી કરવા સૂચના
- ઓગસ્ટ 2026 ના રાજ્ય સ્વાગતમાં 171- જિલ્લા સ્વાગતમાં 2285 - તાલુકા સ્વાગતમાં 3,028 મળી 5313 રજૂઆતો પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી
ગાંધીનગર,28 ઓગસ્ટ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓગસ્ટ-2026ના રાજ્ય સ્વાગત ઓનલાઇનમાં આવેલી નાગરિકોની રજૂઆતોના ઝડપી, ત્વરિત અને સમયસરના નિવારણ માટે જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ યુ.એસ. અને કેનેડાનો પ્રવાસ પુર્ણ કરીને પરત આવતા સાથે જ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને સામાન્ય નાગરિકોની સમસ્યાના નિરાકરણ માટેની પોતાની આગવી સંવેદનશીલતા દર્શાવી હતી.
દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા ‘સ્વાગત’ અંતર્ગત ઓગસ્ટ-2026ના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆતો સાંભળીને તેના નિવારણ માટે સૂચનો કર્યા હતા.
આ સંદર્ભમાં તેમણે મહેસાણા જિલ્લાના કડા ગામની ગૌચર જમીનમાં થતી ગેરકાયદે ખનન પ્રક્રિયાની રજૂઆત સામે જિલ્લા વહીવટી તંત્ર અને કમિશનર જીઓલોજી એન્ડ માઈનીંગને તાત્કાલિક અસરથી પગલા ભરવા તેમજ કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ તાકીદ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લામાં આવાસ યોજનાના મકાનોના લાભાર્થીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મકાન ભાડે આપવાની જે રજૂઆત આવી હતી તેની ગંભીર નોંધ લઈને પાટણ જિલ્લા કલેકટરને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
મુખ્યમંત્રી સમક્ષ આ રાજ્યસ્વાગતમાં ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગીર-સોમનાથ, સાબરકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની વિવિધ રજૂઆતો સાથે નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે રજૂઆતો અંગે સમયસર અને રજૂઆત કર્તાને સંતોષપૂર્વકના યોગ્ય નિરાકરણ માટેની સૂચનાઓ આપી હતી.
ઓગસ્ટ-2026ના રાજ્ય સ્વાગતમાં 171 થી વધુ રજૂઆત કર્તાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા સ્વાગતમાં 2285 અને તાલુકા સ્વાગતમાં 3,028 મળીને સમગ્રતયા 5,313 જેટલી રજૂઆતો પ્રત્યે યોગ્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ