
- 5-ડે વર્કિંગની માગ પર કર્મચારીઓ અડગ
- ગુજરાત રાજ્યમાં 5400 બ્રાન્ચ અને 15 હજાર કરોડના ટ્રાન્જેક્શનને અસર
અમદાવાદ,11 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત સહિત દેશભરમાં આજે બેંકોની દેશવ્યાપી હડતાળ. આજે શુક્રવાર પછી શનિ-રવિની રજાને કારણે 3 દિવસ બંધ રહેશે. એસબીઆઇ,પીએનબી અને યૂનિયન બેંક સહિત સરકારી અને કેટલીક ખાનગી બેંક આજે 11 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ બંધ રહેશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે બે વર્ષથી પડતર 5-ડે વર્કિંગની માંગ સાથે આજે શુક્રવારે એક દિવસની હડતાળનું એલાન કર્યું છે.
જે બાદ 12 સપ્ટેમ્બરે મહિનાનો બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકની શાખાઓ બંધ રહેશે. જો સરકાર અને બેંક મેનેજમેન્ટને માંગણી ન સ્વીકારી, તો 26 ઓક્ટોબરે દેશભરની બેંકમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ થઈ જશે.
યુએફબીયુ જોડાયેલા સંગઠનોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય ન લેતા ગુજરાતમાં પણ તેની મોટી અસર થવાની શક્યતા છે. રાજ્યમાં આશરે 75 હજાર બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં સામેલ થઈ રહ્યા છે.
લગભગ 5,400 બેંક શાખાઓની કામગીરી બંધ અથવા ખોરવાઈ છે. એટલું જ નહીં હડતાલને કારણે ગુજરાતમાં આશરે 15,000 કરોડના બેંકિંગ વ્યવહારોને અસર થઈ છે. બેંકમાં જઈને રુપિયા જમા કે ઉપાડવા, ચેક સંબંધિત કામકાજ, કાઉન્ટર સેવા અને અન્ય શાખા આધારિત સેવાઓમાં મુશ્કેલી આવી શકે છે. તો આ તરફ સુરતમાં બેંક કર્મચારીઓએ કાળા કપડા પહેરીને વિરોધ કર્યો છે.
યુએફબીયુનું કહેવું છે કે 8 માર્ચ 2024 ના રોજ ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે આઇબીએ સાથે 12મા દ્વિપક્ષીય કરાર અને 9મા સંયુક્ત નોટ પર હસ્તાક્ષર થયા હતા. તેમાં 5-દિવસીય બેંકિંગ લાગુ કરવા પર સહમતિ બની હતી. આ અંતર્ગત કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધુ કામ કરશે. આઇબીએ એ આ પ્રસ્તાવને મંજૂરી આપીને કેન્દ્ર સરકાર પાસે મોકલ્યો હતો, પરંતુ બે વર્ષથી વધુ સમય વીતી ગયા પછી પણ નાણા મંત્રાલય તરફથી તેને મંજૂરી મળી નથી.
નવી પીએલઆઈ સ્કીમ પર વિવાદ: સીનિયર અફસરોને ફાયદો, નીચલા સ્ટાફ સાથે ભેદભાવ
પીએલઆઈ સ્કીમને લઈને વિવાદ હવે મુખ્ય શ્રમ આયુક્ત સમક્ષ સમાધાન પ્રક્રિયા હેઠળ પેન્ડિંગ છે. આ ઉપરાંત, આ મામલાને દિલ્હી હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. યુનિયનોએ દ્વિપક્ષીય વાતચીત દ્વારા ઇન્સેન્ટિવ સ્કીમમાં સુધારો કરવાની માગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ