

પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)ભારત વિકાસ પરિષદ સિદ્ધમ શાખા પાટણ દ્વારા શહેરના મુખ્ય હાઈવેના ડીવાઈડરોમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પર્યાવરણનું જતન અને શહેરની સુંદરતા વધારવાના હેતુથી પાટણ-રૂણી માર્ગના ડીવાઈડરમાં પાંજરા સાથે સરગવા સહિત કુલ 85 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વૃક્ષોના જતન માટે સંસ્થાએ સ્થાનિક નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી છે.
આ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં પાટણથી રાજપુર અને કુંભેર તરફના માર્ગો પર પણ વૃક્ષારોપણ કરવાની યોજના છે. સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, દરેક વૃક્ષ પાછળ ચોક્કસ ખર્ચ થાય છે અને વૃક્ષોના યોગ્ય ઉછેર તથા જાળવણી માટે નાગરિકોનો સહયોગ જરૂરી છે. આ પ્રકલ્પનો મુખ્ય હેતુ પર્યાવરણનું જતન કરી પાટણ શહેરની શોભામાં વધારો કરવાનો છે.
સંસ્થાએ નાગરિકોને પોતાના જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ અથવા પરિવારના અન્ય સામાજિક પ્રસંગોને યાદગાર બનાવવા વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા નમ્ર વિનંતી કરી છે. સાથે જ વાવેલા વૃક્ષોની નિયમિત દેખરેખ અને જાળવણીમાં સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ