
ગીર સોમનાથ 15 સપ્ટેમ્બર (હિ.સ.) વિકસિત ભારત સંકલ્પ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યના ૨૫ વર્ષ નિમિત્તે તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૧૭ ઓક્ટોબર સુધી ગીર સોમનાથ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી કરવામાં આવશે.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડાપ્રધાનના જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બરના રોજ યોજાનાર ‘આશીર્વાદનો દીવડો’ અને ‘રક્તદાન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ બન્ને કાર્યક્રમો સુચારુ રીતે આયોજીત થાય તે માટે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પ્રાંત ઓફિસ, વેરાવળ ખાતે એક બેઠક આજે યોજાઈ હતી.
કલેક્ટરએ આ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ થી તા.૧૭ ઓક્ટોબર સુધી એટલે કે એક મહિના સુધી રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, સેવાસેતુ સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વેરાવળ અને પ્રભાસ પાટણ ખાતે અનેક કાર્યક્રમો પૈકી વડાપ્રધાનશ્રીના જન્મદિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી નગરપાલિકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે રક્તદાન શિબિર તેમજ સોમનાથ મંદિર ખાતે સાંજે ૭:૦૦ વાગ્યે જિલ્લાકક્ષાનો ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે.
કલેક્ટરએ વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, ધૂન મંડળીઓ, ભજન મંડળીઓ સહિત સ્થાનિક નાગરિકોને વૈવિધ્યસભર ઉજવણી થાય એ માટે વિવિધ મંદિરો અને ઘરઆંગણે દીવો પ્રગટાવી વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય અને નિરામય સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવવા અને રક્તદાન શિબિરમાં સહભાગી થવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલે કાર્યક્રમની રુપરેખા આપતા જણાવ્યું હતું કે, તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સમગ્ર જિલ્લાના ૧૦૨૫ બૂથ, ૭૦૦ ગ્રામ્ય સ્થળો, ૩૦૦ સસ્તા અનાજની દુકાનો, વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા સહિતની નગરપાલિકાઓના ૩૯ વોર્ડ, તાલાલા શ્રીબાઈ મંદિર, સૂત્રાપાડા નગદુર્ગા માતાજી મંદિર, ઉના મોદેશ્વર મહાદેવ મંદિર, ઉમરેઠી હિરણ-૨ ડેમ, દેલવાડા ગુપ્તપ્રયાગ મંદિર, ગીરગઢડા સ્વામિનારાયણ મંદિર મારુતિધામ ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે.
જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કાજલી ખાતે, તાલાલા ખાતે હિરણ-૨ ઉમરેઠી ડેમ, માધવરાયજી મંદિર પ્રાચી, કોડિનાર સોમનાથ મંદિર, શિવાજી ચોક, ગુપ્તપ્રયાગ મંદિર, દેલવાડા અને મારુતિધામ, સ્વામિનારાયણ મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત તેમણે રક્તદાન શિબિરની વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસના ઉપલક્ષમાં સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી નગરપાલિકાના કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે તેમજ આર.એન.વાળા હોસ્પિટલ ટ્રસ્ટ, કોડિનાર ખાતે અને વરસિંગપુર રોડ, યોગ ભવન, ઉના ખાતે રક્તદાન શિબિર યોજાશે.
વધુમાં તેમણે વિવિધ કાર્યક્રમો માટે સ્થળ પસંદગી, તાલુકા થી ગ્રામ્ય સ્તર સુધી દિવડાઓનું વિતરણ, વૈવિધ્યસભર ઉજવણી માટે ભજન મંડળી-ધૂન મંડળી સહિત સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકલન સહિતના મુદ્દે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડૉ. બી.બી.ડાંગર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ચેતન ખટાણા, પ્રાંત અધિકારી શ્રી જે.વી.કાકડિયા, સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અગ્રણી ડૉ સંજયભાઈ પરમાર, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સમાજના આગેવાનો, જ્ઞાતિના પ્રમુખો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ