


કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ, જીપીસીબી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે
મોટો અકસ્માત ટળ્યો હાલ કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાનિના અહેવાલ મળ્યા નથી
કંપનીમાં આગ ક્યાં કારણથી લાગી તેની જાણકારી મળી નથી
ભરૂચ 15 સપ્ટેમ્બર (હિ.સ.)
સાયખા જીઆઈડીસીમાં મોરડિયા કેમિકલ કંપનીમાં આજે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઇજાના અહેવાલ મળ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.
મોરડિયા કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ફાયર વિભાગની ટીમે પોતાના ફાયર ટેન્ડરો સાથે ઘટનાસ્થળે પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ કાફલો, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.
આ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી છે. હાલ કંપનીમાં કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત કે જાનહાનિ થયાના અહેવાલ નથી.તંત્ર દ્વારા હાલમાં આગ લાગવાના કારણો અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેમિકલના કારણે પર્યાવરણ કે આસપાસના વિસ્તારમાં કોઈ નુકસાન થયું છે કે નહીં તે અંગે જીપીસીબી દ્વારા પણ જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ