
ગીર સોમનાથ 15 સપ્ટેમ્બર (હિ.સ.) સેવા સંકલ્પ અભિયાન અને તા.૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ઈન્ડિયન રેડક્રોસના સહયોગથી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી નગરપાલિકાના કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે તેમજ આર.એન.વાળા હોસ્પિટલ ટ્રસ્ટ, કોડિનાર ખાતે અને વરસિંગપુર રોડ, યોગ ભવન, ઉના ખાતે રક્તદાન શિબિર યોજાશે.આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરુણ રોયે જણાવ્યું હતું કે, ‘રક્તદાન એ મહાદાન’ની ઉક્તિને સાર્થક કરતા રક્તદાન એ કોઈના જીવનની આશા બની શકે છે. જેથી ૧૮ વર્ષથી ઉપરના તમામ પાત્રતા ધરાવતા રક્તદાતાઓએ રક્તદાન શિબિરમાં ભાગ લેવો જોઈએ અને કોઈની જિંદગી બચાવવા માટે નિમિત્ત બનવું જોઈએ.
આ અંગે ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી શ્રી ગીરીશ ઠક્કરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન રેડક્રોસ સોસાયટી દ્વારા કરાયું છે.
જેમાં જિલ્લાની તમામ સંસ્થાઓ અને પ્રશાસનના અધિકારીઓ-કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો સહભાગી થશે.
એક રક્તદાનથી ત્રણ લોકોનું જીવન બચી શકે છે. જેથી આ કેમ્પમાં વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.
માનવતાના કાર્યમાં સહભાગી થઈ વધુ ને વધુ બ્લડ ડોનેશન કરવા ઈન્ડિયન રેડક્રોસ અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ