
દેહરાદૂન, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). ઉત્તરાખંડમાં ખરાબ હવામાન વચ્ચે પર્વતીય જિલ્લાઓમાં વરસાદ અને આકાશી વીજળીની ચેતવણી જારી કરવામાં આવી છે. કેદારનાથ ધામ અને યાત્રા માર્ગ પર ગુરુવારે સવારે ઘણા સ્થળોએ વરસાદ થયો. ખરાબ હવામાનને કારણે કેદારનાથ ધામમાં હેલી સેવાઓ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.
જિલ્લા કટોકટી ઓપરેશન કેન્દ્ર અનુસાર, સવારે 9:20 વાગ્યા સુધીમાં રુદ્રપ્રયાગમાં હળવોથી મધ્યમ, ઉખીમઠમાં હળવો અને જખોલીમાં ભારે વરસાદ નોંધાયો. કેદારનાથ ધામમાં હળવો, લિનચોલીમાં હળવોથી મધ્યમ તથા ભીમબલી અને સોનપ્રયાગમાં હળવો વરસાદ થયો. ગૌરીકુંડમાં વાદળછાયું વાતાવરણ રહ્યું.
જિલ્લા પ્રશાસને કેદારનાથ યાત્રા માર્ગ પર તૈનાત સેક્ટર અધિકારીઓને યાત્રીઓની સુરક્ષાને લઈને વિશેષ સાવચેતી રાખવાના નિર્દેશ આપ્યા છે. સંવેદનશીલ અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાં યાત્રીઓને આગળ વધવા ન દેવા અને નજીકના સુરક્ષિત સ્થળોએ અથવા હોલ્ડિંગ એરિયામાં રોકવા માટે કહેવામાં આવ્યું છે. કુદરતી આફત, અકસ્માત, માર્ગ અવરોધિત થવા અથવા અન્ય નુકસાનની જાણ તાત્કાલિક જિલ્લા કટોકટી ઓપરેશન કેન્દ્રને આપવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) ના દેહરાદૂન કેન્દ્ર અનુસાર, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાઓમાં અનેક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે પર્વતીય જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે આકાશી વીજળી ચમકવા તથા વરસાદના તીવ્રથી અતિ તીવ્ર રાઉન્ડની ચેતવણી જારી કરી છે. દેહરાદૂનમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેવા તથા હળવા વરસાદ અથવા ગાજવીજ સાથે એક-બે રાઉન્ડ ઝાપટાં પડવાની સંભાવના છે. અહીં મહત્તમ તાપમાન લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.
આઈએમડી અનુસાર, છેલ્લા 24 કલાકમાં મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ, જ્યારે પર્વતીય વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછુંથી સામાન્ય કરતાં ઘણું વધારે રહ્યું. બુધવારે સવારે 8:30 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યાની વચ્ચે પંતનગરમાં 33.8 મિલીમીટર, ઉત્તરકાશી અને પુરોલામાં 10-10 મિલીમીટર તથા ધારચુલામાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો. સ્વયંસંચાલિત હવામાન કેન્દ્રોમાં હાથીબડકલામાં 39, પંતનગરમાં 36.5, સહસ્રધારામાં 34.5 અને માલદેવતામાં 24 મિલીમીટર વરસાદ નોંધાયો.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ