બાળકના નામ સાથે હવે પિતાનું નામ રાખવું ફરજિયાત નહીં,જન્મ-મરણ રજિસ્ટ્રારની નવી એડવાઈઝરી જાહેર
- બાળકના નામ-અટકથી લઈ માતા-પિતાના નામ સુધી સુધારાના નવા નિયમ ગાંધીનગર,04 સપ્ટેમ્બર (હિ.સ.) સરકારે હવે જન્મ-મરણ રજિસ્ટ્રારની નવી એડવાઈઝરી જાહેર કરી છે. જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામ, અટક અને વાલી,માતા-પિતાના નામમાં સુધારા અંગે રાજ્યના મુખ્ય
Births and Deaths certificate


- બાળકના નામ-અટકથી લઈ માતા-પિતાના નામ સુધી સુધારાના નવા નિયમ

ગાંધીનગર,04 સપ્ટેમ્બર (હિ.સ.) સરકારે હવે જન્મ-મરણ રજિસ્ટ્રારની નવી એડવાઈઝરી જાહેર કરી છે. જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામ, અટક અને વાલી,માતા-પિતાના નામમાં સુધારા અંગે રાજ્યના મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. 2 સપ્ટેમ્બર, 2026ના આદેશમાં રજિસ્ટ્રાર અને સબ-રજિસ્ટ્રારને વિવિધ પરિસ્થિતિમાં કયા પ્રકારના સુધારા કરી શકાશે તેની વિસ્તૃત સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળ જન્મ-મરણ નોંધણીની કામગીરી થાય છે.

બાળકના જન્મના દાખલામાં પિતાનું નામ હટાવીને માતાનું નામ દાખલ કરવાનું હોય, અને માતા-પિતા બંને બાળક સાથે રહેતા હોય, તો પિતાની લેખિત સંમતિના આધારે જરૂરી સુધારો કરી શકાશે. જો માતા-પિતા છૂટાછેડા લીધેલા હોય અને બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો કોર્ટના હુકમના આધારે બાળકના જન્મના દાખલામાં માતાનું નામ અને અટક રાખી સુધારો કરી શકાશે.

નવી ગાઈડલાઈનનો સૌથી મહત્વનો ફેરફાર એ છે કે, જન્મ પ્રમાણપત્રમાં બાળકના નામમાં પિતાનું નામ ‘Middle Name’ તરીકે રાખવું ફરજિયાત રહેશે નહીં. પિતાનું નામ Middle Name તરીકે રાખવું હવે વૈકલ્પિક રહેશે.

છૂટાછેડાના કિસ્સામાં બાળકની કસ્ટડી માતા પાસે હોય અને કોર્ટના હુકમમાં બાળકના જન્મના દાખલામાં માતાનું નામ તથા અટક રાખવાની સ્પષ્ટતા કરવામાં આવી હોય તો કોર્ટના હુકમના આધારે જન્મના દાખલામાં સુધારો કરી શકાશે.

બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ સુધારવાનું હોય અથવા પિતા અને બાળકની અટક અલગ હોય તો જરૂરી આધાર-પુરાવાના આધારે સુધારો થઈ શકશે. તેમાં સરકારી ગેઝેટ તથા સુધારેલા નામવાળા સરકારી ફોટો ID પ્રૂફ, જેમ કે આધારકાર્ડ અથવા પાનકાર્ડ, સહિતના જરૂરી દસ્તાવેજોનો આધાર લઈ શકાય છે.

મરણ પ્રમાણપત્રમાં મૃતકના નામની પાછળ પિતા કે, પતિનું નામ લખવાનું હોય તો તેને Middle Name તરીકે રાખવું ફરજિયાત નહીં રહે. સંબંધિત વ્યક્તિની જરૂરિયાત અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે નામની રચના કરી શકાશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande