

વડોદરા,04 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા એસએસજી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સમક્ષ સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરોએ કરેલી ગંભીર ફરિયાદ બાદ તાત્કાલિક કાર્યવાહી કરાઈ છે.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સાઇકિયાટ્રી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. ચિરાગ બારોટની વડોદરાથી ભાવનગર તાત્કાલિક અસરથી બદલી કરી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રોજ વડોદરાની એસએસજી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
સાઇકાઇટ્રિક વિભાગના રેસીડેન્ડ ડૉક્ટર્સ દ્વારા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સમક્ષ સાયકિયાટ્રી વિભાગના ડૉ. ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિતમાં ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી.
મંત્રી સાથેના સંવાદ દરમિયાન સાઇકિયાટ્રી વિભાગના R1, R2, R3 અને સિનિયર રેસિડેન્ટ સહિત આશરે 18 જેટલા તબીબોએ ડૉ. ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિત રજૂઆત કરી હતી. રેસિડેન્ટ ડૉક્ટરોએ શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
ફરિયાદમાં રેગિંગ, અભદ્ર મેસેજ મોકલવા, કામકાજના સમય બાદ પણ અયોગ્ય માંગણીઓ કરવા, હોસ્ટેલના રૂમ નંબર પૂછવા તેમજ ચાલુ કામગીરી દરમિયાન અશ્લીલ ટિપ્પણીઓ કરવા સહિતના આક્ષેપો કરાયા હતા.આ ઉપરાંત રજૂઆતમાં રેગિંગ, અભદ્ર મેસેજ મોકલવા, કામકાજના સમય પછી પણ અયોગ્ય માંગણીઓ કરવી, હોસ્ટેલના રૂમ નંબર પૂછવા તેમજ ચાલુ કામ દરમિયાન અશ્લીલ ટિપ્પણીઓ કરવા જેવા ચોંકાવનારા આક્ષેપો કરાયા છે. આ ઉપરાંત, ડૉક્ટરોને થીસીસ અને પરીક્ષામાં ફેલ કરવાની ધમકીઓ અપાતી હોવાનું પણ લેખિત રજૂઆતમાં જણાવાયું છે.
આ મામલે કડક વલણ અપનાવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને તબીબોની સુરક્ષા, માન-સન્માન તથા માનસિક શાંતિ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. રેગિંગ, શારીરિક-માનસિક શોષણ કે ગેરવર્તણૂક સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડોદરા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને ફરિયાદોને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહીના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આદેશ અપાયા છે. ગુજરાતની કોઈપણ મેડિકલ શૈક્ષણિક સંસ્થામાં આવી અશિસ્ત કે હેરાનગતિ જરાય ચલાવી લેવાશે નહીં અને દોષિતો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ