
સુરત, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી સહજ મિલમાં રાત્રિ પાળીમાં ફરજ બજાવી રહેલા 21 વર્ષીય યુવક માટે કામની સામાન્ય રાત અચાનક અંતિમ બની ગઈ. સિલાઈ મશીન પર કામ કરતી વખતે જોરદાર વીજકરંટ લાગતાં અનિલ શર્માનું મોત નીપજ્યું હતું.
પાંડેસરા સ્થિત સહજ મિલમાં રાત્રિ પાળીમાં સિલાઈ મશીન પર કામ કરી રહેલા અનિલ શર્માને અચાનક કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.
મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે મિલ સંચાલકોની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. પરિવારજનોએ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
મૃતક અનિલના સંબંધી દીપક શર્માએ જણાવ્યું હતું કે, પાંડેસરાની સહજ મિલમાં તેમનો ભાઈ ડ્રાઈંગનું કામ કરતો હતો. રાત્રે કામ દરમિયાન તે વોશરૂમ માટે ગયો હતો. ત્યારબાદ પરત આવી મશીન ચાલુ કરતાં તેને કરંટ લાગ્યો હતો.
ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવે મિલોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સની વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે