ગીર સોમનાથ, 4 ઓક્ટોબર (હિ.સ.): દેશનું સહકારી માળખું મજબૂત કરવા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્રમાં જોડાવવા તથા રોજગારી તકો ઉભી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં વિવિધ હિતલક્ષી નિર્ણયો તથા યોજનાઓ અમલી કરવામાં આવી છે. સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આ તમામ અમલીકૃત યોજનાઓ પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તાલાલા તાલુકાના ગુંદરણ ખાતે ગુંદરણ સેવા સહકારી મંડળી લિમિટેડના સભ્યો દ્વારા પત્ર લખી સભાસદોએ સરકારના વિવિધ કલ્યાણકારી નિર્ણયો અને નીતિઓ પ્રત્યે તેમની કૃતજ્ઞતા દર્શાવી હતી.
મંડળીના સભ્યોએ માઈક્રો એ.ટી.એમની સેવાઓ પ્રદાન કરવા બદલ, પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન, સ્વરોજગારી અને સ્વાવલંબન, ખેડૂતો અને પશુપાલકોના હિતનું રક્ષણ કરીને મજબૂત નિર્ણયો લેવા બદલ પત્ર લખી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જી.એસ.ટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) માં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની બચતમાં વધારો કરવાનો અને ખેડૂતો સહિત નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. જેનાથી સહકારી મંડળીઓના સભાસદોને વિવિધ લાભ થયા છે.
આ પત્રલેખન ઝૂંબેશમાં ગુંદરણ સેવા સહકારી મંડળી લિમિટેડના બામરોટિયા ચંદ્રેશભાઈ, અમરાભાઈ બામરોટિયા, દેવશીભાઈ સોલંકી, ભૂપતભાઈ ભૂવા, બાબુભાઈ ભૂવા સહિતના સભ્યો સહભાગી થયાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ