જામનગર, 4 ઓક્ટોબર (હિ.સ.) : સમાજ સુરક્ષા કચેરી, જામનગર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે વિશ્વ વૃદ્ધ દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આણંદા બાવા સેવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધ માતાઓ માટે મેડિકલ હેલ્થ ચકાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્ય કેમ્પમાં આરોગ્ય વિભાગની વિશેષ મેડિકલ ટીમ ઉપસ્થિત રહી હતી. આ ટીમ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતી તમામ માતાઓનું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરિયાત મુજબની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે અંતેવાસી બહેનો/માતાઓના આયુષ્માન કાર્ડ હજુ સુધી નીકળ્યા ન હતા, તે તમામ બહેનોને આ કેમ્પમાં સ્થળ પર જ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા, જેથી તેઓ વિના મૂલ્યે સારવારનો લાભ લઈ શકે.
આ સેવાકીય અને સન્માનના કાર્યક્રમમાં આણંદા બાવા સંસ્થાના ટ્રસ્ટી કિશોરભાઈ સંઘાણી, સમાજ સુરક્ષા અધિકારી હસમુખભાઈ રામાણી, ચીફ ઓફિસર મનોજભાઈ વ્યાસ સહિત સમાજ સુરક્ષા કચેરીનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. મીનાક્ષીબેન જાની દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt