મહેસાણા, 5 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના કડી શહેરમાં 200 વર્ષ જૂની નવરાત્રિની પરંપરા આજે પણ ભક્તિ અને ઉમંગ સાથે જીવંત છે. અગિયારસના દિવસે થનારા વળામણાના પ્રસંગે આ વર્ષે કડીમાં ભક્તિ અને કળાનું અદભૂત સંમેલન જોવા મળ્યું. ખમાર સમાજની ઝાપલીવાસ ખાતે આવેલી બહુચર માતાજીની માંડવી આગળ ડૉ. દિવ્યા ઠક્કર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નવ કથક કલાકારોએ નૃત્ય દ્વારા માતાજીને અનોખી વિદાય અર્પી.
ઘૂઘરાંની રણકાર અને “તત-થાઈ-થાઈ-તત”ના તાલ સાથે ભક્તિભાવથી ભરેલી નવ દીકરીઓએ કથકના પગલાં વડે માતાજીના ચરણોમાં ભક્તિ સમર્પણ કર્યું. આ પહેલ કડીના ઈતિહાસમાં પહેલીવાર થઈ છે, જ્યાં વળામણામાં કળાનું અદભૂત રૂપ જોવા મળ્યું. 500થી વધુ લોકોએ આ ભક્તિમય દ્રશ્યનો આનંદ માણ્યો.
ડૉ. દિવ્યા ઠક્કરે જણાવ્યું કે, “કથક એ ભક્તિનું નૃત્ય છે. આજના વળામણામાં દરેક પગલું માતાજીની કૃપાથી સંચાલિત લાગતું હતું.” આ અનોખા વળામણાંએ સાબિત કર્યું કે પરંપરા સમય સાથે બદલાય નહીં — તે નવી રીતે જીવંત બને છે, અને કડીની આ વિદાયે એ જ ભાવને સુંદર રીતે ઉજાગર કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR