અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી ખાતે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, અમરેલી-ગુજરાત દ્વારા સર્વ જ્ઞાતિના દિવ્યાંગ યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદગી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળાનો હેતુ દિવ્યાંગ વ્યક્તિઓને એકબીજા સાથે પરિચિત થવાની અને યોગ્ય જીવનસાથી શોધવાની તક પૂરી પાડવાનો હતો.
કાર્યક્રમમાં જિલ્લા તેમજ આસપાસના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ યુવક-યુવતીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. પરિચય મેળામાં દરેક ઉમેદવારને પોતાનું પ્રોફાઇલ રજૂ કરવાની તક આપવામાં આવી, જેથી બંને પક્ષ વચ્ચે સીધી ચર્ચા શક્ય બની. દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો દ્વારા સમાજમાં દિવ્યાંગ લોકો માટે સમાન તકો સર્જવા અને તેમની આત્મનિર્ભરતા વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહેમાનો અને સંસ્થાના પ્રતિનિધિઓએ આ પહેલને પ્રશંસનીય ગણાવી અને આગામી સમયમાં આવા મેળાઓ વધુ પ્રમાણમાં યોજવાની વિનંતી કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai