અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.) સાવરકુંડલા ખાતે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા નૂતન હનુમાનજી મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મારુતિ યજ્ઞ (હવન)નો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક અને પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સમૂહિક ભજન, હવન અને ધાર્મિક વિધિઓ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈએ ઉપસ્થિત રહી મંદિરના વિકાસ અને યુવા ગ્રુપના સેવાભાવની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, સકારાત્મકતા અને સંસ્કારનું સંવર્ધન કરે છે. કાર્યક્રમ દરમિયાન ભગતસિંહ યુવા ગ્રુપના સભ્યો તેમજ સ્થાનિક ગામજનોના સહયોગથી ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજીના ચરણોમાં સૌના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રસરે તેવી સૌએ પ્રાર્થના કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai