અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લામાં સંભવિત શક્તિ વાવાઝોડાની અસરને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચિંતા વ્યાપી છે. જાફરાબાદના દરિયા કિનારે હળવો પવન અને સામાન્ય કરન્ટ જોવા મળતા માછીમારોમાં સાવચેતીનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના સૂચનાના આધારે દરિયાની હાલતને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તરત જ દરિયામાં ગયેલી તમામ બોટોને પરત બોલાવવાની તજવીજ હાથ ધરાઈ છે.
જાફરાબાદ, રાજુલા અને કોડીનાર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ફિશરીઝ વિભાગ અને સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયા છે. બંદરો પર લાલ ઝંડા ફરકાવવામાં આવ્યા છે અને માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
તંત્ર તરફથી લોકોએ અફવા પર વિશ્વાસ ન રાખી અધિકૃત માહિતી પર જ ધ્યાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને શક્તિ વાવાઝોડાની દિશા તથા ગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai