પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢના દોલતપરામાં રહેતા માલદે ઉકાભાઇ વાસણ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ તથા તેના કુટુંબીભાઇ કરશનભાઇ તથા કરશનભાઇના પત્ની ભાવનાબેન અને દીકરો જય તથા ફરિયાદી માલદેભાઇના પત્ની મુંધીબેન વગેરે જૂનાગઢથી મંડેર ગામે કુળદેવી માતાજીના મંદિરે આવ્યા હતા અને જૂનાગઢ પરત જવા માટે ફરિયાદી માલદે ઉકાભાઇ વાસણ તથા કરશનભાઇનો દીકરો જયદીપ અને ફરિયાદીના કાકાનો દીકરો મેણસી વાસણ વગેરે મંડેર-ચીંગરીયા રોડ પરથી રીક્ષામાં નીકળ્યા હતા. મેણસી હાજાભાઇ વાસણ રીક્ષા ચલાવતો હતો અને અચાનકજ મેણસીએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા છકડો રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી અને બધા રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા.
લોકોનું ટોળુ એકઠુ થઇ ગયુ હતુ અને 108 ને જાણ કરવામાં આવતા ત્રણેય ઘવાયેલા લોકોને માધવપુરની હોસ્પિટલે પહોંચાડયા હતા જ્યાં રીક્ષાચાલક મેણસી હાજાભાઈ વાસણનું મોત થયુ હોવાનું જાહેર થયુ હતુ.
જ્યારે ફરિયાદી માલદે વાસણ અને તેના કુટુંબીભાઇના દીકરા જયદીપને ઇજાઓ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક રીક્ષાચાલક મેણસીભાઈ સામે રીક્ષા અકસ્માત સર્જ્યોનો ગુન્હો દાખલ થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya