મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના આખજ ગામના 25 વર્ષના યુવા ખેડૂત પટેલ જનક વિષ્ણુભાઈએ પરંપરાગત ખેતીથી અલગ દિશામાં સફળતા મેળવી છે. બાપદાદા ખેતી સાથે જોડાયેલા હોવાથી ખેતીનો વારસો ઘરમાં જ મળ્યો, અને હવે છેલ્લા 5 વર્ષથી જનકભાઈ સતત ખેતી સાથે જોડાયેલા છે. તેમણે 12મા ધોરણ બાદ નોકરીની જગ્યાએ ખેતીને જ જીવનમાર્ગ બનાવ્યો.જનકભાઈએ પોતાના ખેતરમાં 4 વીઘા જમીનમાં સીતાફળની ગોલ્ડન વેરાયટીના 430 છોડ વાવ્યા છે. બાગાયત ખાતા, મહેસાણા તરફથી તેમને વાવેતર સમયે સબસીડીનો લાભ મળ્યો હતો. સીતાફળ ઓછા સંભાળમાં સારું ઉત્પાદન આપતું હોવાથી ખેડૂત માટે ફાયદાકારક પાક સાબિત થયું છે.દરેક સીઝનમાં એક વીઘામાંથી આશરે 1.5 લાખ રૂપિયા નફો મળતો હોવાની જનકભાઈની અનુભૂતિ છે. તેઓ ફળનું વેચાણ મહેસાણા માર્કેટયાર્ડમાં કરે છે, જ્યાં હાલ ભાવ ₹1000 થી ₹1500 પ્રતિ મણ છે. એક ઝાડ દર વર્ષે 6 થી 7 મણ ફળ આપે છે અને 30 થી 45 વર્ષ સુધી ઉત્પાદન આપે છે.જનકભાઈનું માનવું છે કે સીતાફળની ખેતી ઓછી મહેનત અને ઓછા પાણીમાં વધુ નફો આપે છે — તેથી મહેસાણાના ખેડૂત માટે આ પાક ભવિષ્યની નવી તક બની શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR