અમદાવાદ, 6 ઓક્ટોબર (હિ.સ.) : નાયબ બાગાયત નિયામકની કચેરી, અમદાવાદ દ્વારા માંડલ તાલુકાના ટ્રેન્ટ અને ઉધરોજપુરા ખાતે એચ આર ટી 5 યોજના અંતર્ગત બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રેન્ટ અને ઉધરોજપુરા ગામની 85 જેટલી મહિલાઓએ આ માહિતીસભર તાલીમનો લાભ મેળવ્યો હતો. તાલીમાર્થી બહેનોને તાલીમને અનુરૂપ ફળ અને શાકભાજી પરિરક્ષણની વિવિધ પદ્ધતિઓ, પ્રિઝર્વેટિવ વિશે જરૂરી સમજ આપીને તેના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમ્યાન તાલીમાર્થી બહેનોએ ખજૂરના લાડું, બીટના લાડું, આદુ - લીંબુ શરબત, મિક્ષ ફ્રૂટ જામ, કાચા પપૈયાની તૂટી ફુટી, ટામેટા કેચઅપ સહીતની બનાવટો બનાવી હતી.
આ ઉપરાંત, મહિલાઓને કિચન ગાર્ડન, ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અને પ્રાકૃતિક ખેતી વિશે તલસ્પર્શી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. તાલીમ અંતર્ગત તાલીમાર્થી બહેનોએ પોતાના અનુભવો પણ વર્ણવ્યા હતાં. તાલીમમાં સહભાગી થનાર તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ