- ગુજરાતમાં કફ સિરપ બનાવતી 500 કંપનીમાં તપાસનો આદેશ
- બે કંપનીની સિરપમાંથી ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ વધુ મળ્યું
ગાંધીનગર,7 ઓકટોબર (હિ.સ.) મધ્યપ્રદેશના છિંદવાડામાં બહુચર્ચિત કફ સિરપ પીધા બાદ કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ મચ્યો છે. મધ્યપ્રદેશના સિરપકાંડ બાદ ગુજરાત સરકાર કફ સિરપ મામલે એલર્ટ મોડ પર આવી ગઈ છે.
મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રી-લાઈફ અને રેસ્પિફ્રેશ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળ્યું છે. આ સમગ્ર મામલાને લઈ ગુજરાત સરકાર પણ એલર્ટ બની છે અને ગુજરાતમાં કફ સિરપ બનાવતી અલગ અલગ 500 જેટલી કંપનીઓમાં તપાસનો આદેશ અપાયો છે. આ મામલે કેન્દ્રના પગલે રાજ્ય સરકારે એડવાઈઝરી જાહેર કરવાનો પણ નિર્ણય કરાયો છે.
ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજિત 500 જેટલી કંપનીઓમાં કફ સિરપનું ઉત્પાદન કરવામાં આવે છે. એમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ભારત સરકારે જે એડવાઈઝરી જાહેર કરી છે એના આધારે ગુજરાત સરકાર પણ એડવાઈઝરી જાહેર કરશે.
મધ્યપ્રદેશના કફ સિરપ કાંડ પછી હોબાળો મચ્યો છે. એની વચ્ચે ગુજરાતની MFG-M/s Shape pharma Pvt. Ltd.માં બનેલી રી-લાઈફ અને MFG- M/s Rednonex Pharmaceuticals Pvt. Ltd.માં બનેલી રેસ્પિફ્રેસ ટીઆર નામના કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ બંને સિરપ પર રોક લગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
26થી 28 સપ્ટેમ્બર દરમિયાન છિંદવાડા જિલ્લામાં ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેડિકલ અને હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી. આ સમયે કુલ 19 દવાનાં સેમ્પલ એકત્ર કરવામાં આવ્યાં હતાં અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં, જેમાં ગાઈડલાઈન અનુસાર, કફ સિરપમાં મહત્તમ 0.1 ટકા ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ હોવું જોઈએ, પરંતુ તપાસમાં 4 કફ સિરપ નક્કી માપદંડમાં ફેલ થયા હતા. આ સિરપથી કિડની ફેલ અને બ્રેઈન હેમરેજ જેવી સ્થિતિ પેદા થવાનું જોખમ રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ