અમરેલી પોલીસે ઉકેલ્યો, બે વર્ષ જુનો રહસ્યમય હત્યાકાંડ – પત્નીની હત્યા કરી લાશ છુપાવનાર પતિની ધરપકડ
અમરેલી, 7 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના નાના ભંડારિયા ગામની સીમમાં બે વર્ષ પહેલા મળેલી અજાણી મહિલાની લાશના ગુન્હાનો ચોંકાવનારો પ્રદાફાશ હવે થઈ ગયો છે. લાંબા સમય સુધી ગુન્થાયેલો આ કેસ હવે ખુલ્લો પડ્યો છે. અમરેલી પોલીસએ તપાસની દિશા બદલતા અને જૂના પ
અમરેલી પોલીસે ઉકેલ્યો બે વર્ષ જુનો રહસ્યમય હત્યાકાંડ – પત્નીની હત્યા કરી લાશ છુપાવનાર પતિની ધરપકડ


અમરેલી, 7 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના નાના ભંડારિયા ગામની સીમમાં બે વર્ષ પહેલા મળેલી અજાણી મહિલાની લાશના ગુન્હાનો ચોંકાવનારો પ્રદાફાશ હવે થઈ ગયો છે. લાંબા સમય સુધી ગુન્થાયેલો આ કેસ હવે ખુલ્લો પડ્યો છે. અમરેલી પોલીસએ તપાસની દિશા બદલતા અને જૂના પુરાવાઓને આધારે આખરે હત્યારા સુધી પહોંચીને મૃતક મહિલાના પતિ ભાવેશ કટારાને ધરપકડ કરી લીધો છે. પોલીસે મૃતકનું પૂતળું બનાવીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને હાલ આરોપીનો 5 દિવસનો પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

કેવી રીતે ઉકેલાયો બે વર્ષ જૂનો કેસ-

2025માં અમરેલી તાલુકા પોલીસ મથકમાં નવલીબેન રમેશભાઈ બારીયા, રહેવાસી દાહોદ, દ્વારા પોતાની દીકરી ગુમ થવાની અરજી (અરજી નં. 254/2025) આપવામાં આવી હતી. નવલીબેનની દીકરીનો પતિ ભાવેશ કટારા તેમની દીકરી ક્યાં છે તેની કોઈ માહિતી આપતો ન હતો. આ શંકાસ્પદ વર્તનને આધારે પોલીસે તપાસ શરૂ કરી.

તપાસ દરમિયાન પોલીસને યાદ આવ્યું કે બે વર્ષ પહેલાં, એટલે કે 22 ફેબ્રુઆરી 2023ના રોજ, નાના ભંડારિયા ગામની સીમમાં ભીખાભાઈ કેશુભાઈ વોરાની વાડી પાસે આવેલા ડેમના પાળે એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. તે સમયે પોલીસએ આ બનાવને “અકસ્માતે મોત નં. 11/2023” તરીકે નોંધ્યો હતો, કારણ કે લાશની ઓળખ મળી નહોતી.

જ્યારે નવલીબેનને તે લાશના ફોટા બતાવવામાં આવ્યા, ત્યારે તેમણે શંકા વ્યક્ત કરી કે તે તેમની દીકરી જ હોઈ શકે છે. ત્યારબાદ પોલીસએ મૃતકના DNA સેમ્પલ સાથે અરજદાર અને તેમના પતિના DNA સેમ્પલ મેળવી એફ.એસ.એલ.માં મોકલ્યા હતા.

પરંતુ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 30 સપ્ટેમ્બર 2025ના રોજ, નવલીબેનને તેમના જમાઈ ભાવેશે મળીને કહ્યું —

> “હા, મેં તમારી દીકરીને મારી નાખી છે.”

આ સ્વીકારના આધારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાવેશ કટારા વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 302 (હત્યા), 498(એ) (પત્ની પર અત્યાચાર) અને 201 (પુરાવા નષ્ટ કરવો) હેઠળ ગુન્હો નોંધાયો.

અમરેલીના પોલીસ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાની ટીમે આરોપીની વડીયા તાલુકાના બાદલપર ગામની સીમમાંથી ધરપકડ કરી.

હત્યા કેવી રીતે કરી — પોલીસ રિકન્સ્ટ્રક્શન દ્વારા ખુલાસો

2023ના વર્ષમાં, આરોપી ભાવેશ કટારા પોતાની પત્ની અને સાસુ-સસરા સાથે નાના ભંડારિયા ગામે ગોવિંદભાઈ વોરાની વાડીમાં ખેતી મજૂરી કરતો હતો. 12 ફેબ્રુઆરી 2023ના રોજ, તેની સાસુ અને સસરા દાહોદ ગયા હતા, ત્યારે પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો. ગુસ્સામાં આવીને ભાવેશે પોતાની પત્નીનો ગળું દબાવી તેની હત્યા કરી નાખી.

હત્યા પછી પુરાવા છુપાવવા માટે આરોપીએ પત્નીની લાશ ખંભા પર મૂકીને ડેમના પાળ પાસે લઈ ગયો, જ્યાં પથ્થરો હટાવીને લાશ છુપાવી દીધી. લાશ ઉપર મોટા પથ્થરો અને કાંટાવાળા ઝાડખા મૂકીને આખી ઘટનાને ગુપ્ત રાખી ત્યાંથી ફરાર થઈ ગયો.

ત્યારે પોલીસે આ બનાવને અકસ્માત માનીને કેસ દફનાવ્યો હતો, પરંતુ હવે બે વર્ષ પછી સાચું ચિત્ર સામે આવ્યું છે — આ એક યોજનાબદ્ધ હત્યા હતી.

પોલીસની કામગીરી અને નિવેદન

અમરેલી ડિવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે,

> અમરેલી પોલીસએ ધીરજ અને તકેદારીથી બે વર્ષ જૂનો કેસ ઉકેલ્યો છે. આરોપીને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ ચાલી રહી છે. DNA અને અન્ય પુરાવાઓના આધારે ગુન્હો સ્પષ્ટ સાબિત થયો છે.”

પોલીસે રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતકનું પૂતળું બનાવીને આરોપી પાસેથી ઘટનાની પુનરાવૃત્તિ કરાવી હતી, જેથી ગુન્હાની પૃષ્ઠભૂમિ સ્પષ્ટ થઈ શકે.

બે વર્ષ સુધી હાથતાળી આપતો હત્યારો આખરે કાયદાના હાથમાં આવ્યો છે. એક પરપ્રાંતીય ખેત મજૂર દંપતીની ઝઘડામાં બનેલી આ દુઃખદ ઘટના હવે ન્યાયના માર્ગે આગળ વધી રહી છે. અમરેલી પોલીસે સતર્ક તપાસ દ્વારા એક ભૂલાયેલા કેસને ઉકેલીને મૃતકને ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો છે — જે સમગ્ર જિલ્લામાં પોલીસની કુશળતા અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ બની રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande