


ગાંધીનગર, 15 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘આંતરરાષ્ટ્રીય નૉલેજ એક્સચેન્જ કાર્યક્રમ’ના ભાગરૂપે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ-BISAGની ૧૭ વિદેશી પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન વિદેશી પ્રતિનિધિઓની ટીમે ગાંધીનગર સ્થિત ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. આ આંતરરાષ્ટ્રીય નૉલેજ એક્સચેન્જ કાર્યક્રમમાં બાંગ્લાદેશ, અલ્જીરિયા, તાજિકિસ્તાન, બ્રુનેઇ દારુસ્સલામ, યુગાન્ડા, કિંગડમ ઓફ ઇસ્વાતિની, નાઇજેરિયા, ઇસ્વાતિની, મોરીશિયસ અને શ્રીલંકાના પ્રતિનિધિઓનો સહભાગી થયા છે.
‘ગીર’ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર અને રિસર્ચ એસોસિયેટ ડૉ. લોપામુદ્રા દાસે ‘ગીર’ ફાઉન્ડેશન સંસ્થાનો પરિચય આપી પર્યાવરણીય શિક્ષણ તથા સંશોધનની કામગીરી વિશે માહિતી આપી હતી. નાયબ નિયામક -આર.એન્ડ.ડી અમિત નાયક અને મદદનીશ વન સંરક્ષક ડૉ.રેણૂકા દેસાઈએ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતની પારિસ્થિતિકિય અને ‘ગીર’ ફાઉન્ડેશનના કાર્યો બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચામાં પર્યાવરણીય ક્ષેત્રના વિવિધ પડકારો અને સંયુક્ત પ્રયાસો થકી પર્યાવરણ સંરક્ષણ અંગે ૧૭ વિદેશી પ્રતિનિધિઓની ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ઉપરાંત પ્રતિનિધિમંડળે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ડાયનોસોર અને ફોસિલ પાર્ક, બોટાનિકલ ગાર્ડન અને ઝૂ સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ